કરાચીના એક મોલમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 61 થઈ ગયો છે. એક જ દુકાનમાંથી 30 મૃતદેહ મળી આવ્યા બાદ મૃત્યુઆંકમાં ઝડપથી વધારો થયો છે. અધિકારીઓને આશંકા છે કે આ આંકડો 100થી વધુ થઈ શકે છે.
પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીના સદર વિસ્તારમાં આવેલા ગુલ શોપિંગ પ્લાઝાના ભોંયરામાં 17 જાન્યુઆરીની રાત્રે આગ ફાટી નીકળી હતી. આ પ્લાઝા જથ્થાબંધ અને છૂટક બજાર તરીકે કાર્યરત હતો. આગ ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ અને લગભગ 36 કલાક પછી તેને કાબુમાં લેવામાં આવી.
કરાચી સાઉથના ડીઆઈજી અસદ રઝાએ જણાવ્યું હતું કે મેઝેનાઈન ફ્લોર પર સ્થિત "દુબઈ ક્રોકરી" નામની દુકાનમાંથી 30 મૃતદેહો મળી આવ્યા છે. તેમણે કહ્યું કે એવી શંકા છે કે દુકાનદારો અને ગ્રાહકોએ આગથી બચવા માટે દુકાનના શટર બંધ કરી દીધા હતા પરંતુ તેઓ અંદર ફસાયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિવસની શરૂઆતમાં વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા, જેનાથી મૃત્યુઆંક 28થી વધીને 31 થયો હતો. મળેલા મોબાઇલ ફોનથી પણ પુષ્ટિ મળી છે કે શનિવાર રાતથી જ આ પુરુષો મેઝેનાઇન ફ્લોર પર હતા.
દરમિયાન, દુકાનમાંથી મૃતદેહો મળી રહ્યા છે ત્યારે અન્ય માળ પર કાટમાળ દૂર કરવા અને શોધ કામગીરી અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી છે. પોલીસ સર્જન ડૉ. સુમૈયા સૈયદે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 21 મૃતદેહો તેમની પાસે લાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ થઈ શકી નથી.
કરાચી કમિશનર અને સિંધ સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિના કન્વીનર સૈયદ હસન નકવીએ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે ઇમારતમાં અગ્નિ સલામતી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરતી નથી.
સરકારે પહેલાથી જ 10થી 69 વર્ષની વયના મહિલાઓ, બાળકો અને પુરુષો સહિત 73 ગુમ થયેલા લોકોની યાદી જાહેર કરી છે. તેમાં 10થી 18 વર્ષની વયના ઓછામાં ઓછા 16 છોકરાઓ છે, જેઓ દુકાનોમાં કામ કરતા હતા અથવા ખરીદી કરવા આવ્યા હતા.