વેપારીએ રૂ.1.67 કરોડના 3.81 કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

  • July 30, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્યભરમાં ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં પણ લોકદરબાર હતો જેમાં હરીનગરમાં રહેતા કપડાના વેપારી યુવાને પણ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેના આધારે યુનિવર્સિટી પોલીસે વેપારી યુવાનની ફરિયાદ પરથી રાજકોટના ચાર અને જામનગરના એક શખસ સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે. યુવાને ધંધા માટે આરોપીઓ પાસેથી 3 થી લઇ 5 ટકાના દરે 1.67 કરોડ વ્યાજે લીધા હતા. જેના બદલામાં 3.81 કરોડ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી તેની ઓફિસે આવી ઝઘડો કરી મારકુટ કરતા હોય તેમજ યુવાનની કાર પણ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મૂળ ધોરાજીના વતની અને હાલ રાજકોટમાં હરીનગર ત્રણ સન પ્લાઝા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 રૈયા ટેલીફોન એક્સચેન્જ પાછળ રહેતા શ્યામ દિનેશભાઈ ભૂત (ઉ.વ 32) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપ ટીલવા, પિયુષ ફળદુ, ભરત જાગાણી જામનગરના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ વાઘેલાના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં તે રાજકોટ ધંધો કરવા માટે સ્થાયી થયો હતો અને તેણે શ્યામ એન્ટરપ્રાઇઝ પેઢીના નામે રેડીમેન્ટ ગારમેન્ટ રિટેલ અને હોલસેલનો વેપાર શરૂ કર્યો હતો. વેપાર માટે પૈસાની જરૂર હોય તેણે પોતાના માસીયાઈ ભાઈ દીપ ટીલવા પાસેથી વર્ષ 2016 માં 25 લાખ 3 ટકા વ્યાજ લીધા હતા. જેના બદલામાં રૂપિયા 55 લાખ મુદલ તથા વ્યાજ સહિત આપી દીધા હોય છતાં દીપ હજુ પણ વધુ રકમની માંગણી કરતો હતો. બાદમાં વર્ષ 2016/ 17 માં ધંધાની જરૂરિયાત માટે પિયુષ ફળદુ પાસેથી રૂપિયા 27 લાખ ત્રણ ટકા વ્યાજ લીધા હતા જેને આજદિન સુધી 70 લાખ ચૂકવી દીધા હોવા છતાં હજુ વધુ રૂપિયા 24.50 લાખની માંગણી કરે છે. બાદમાં ભરત જાગાણી પાસેથી 40 લાખ 3 ટકા વ્યાજ લીધા હતા 2019 માં બીજી વખત 50 લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં આ ભરતને 1.5 કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં હજુ પણ એક કરોડની માંગણી કરે છે એટલું જ નહીં તેણે સિક્યુરિટી પેટે લીધેલા ચેકમાં એક કરોડ  રૂપિયાની રકમ ભરી યુવાન વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી તેમજ યુવાનની ઓફિસે આવી તથા ઘરે આવી બોલાચાલી કરી ઝઘડો કરતો હતો.



યુવાનનો એક શોરૂમ જામનગર ખાતે પણ હોય જેથી જામનગરના અનિરુદ્ધસિંહ જાડેજા સાથે પરિચય થયા બાદ વર્ષ 2018/ 19 માં તેની પાસેથી રૂપિયા 15 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા જેના બદલામાં 53 લાખ ચૂકવી દીધા હતા છતાં હજુ વધુ 35 લાખની માંગણી કરે છે તેમજ યુવાનની ગાડી પણ તેમણે પડાવી લીધી છે આ ઉપરાંત રાજદીપસિંહ વાઘેલા પાસેથી વર્ષ 2019 માં યુવાનના મિત્ર રોહિત ઉર્ફે પ્રતિકે 40 લાખ લીધા હોય બાદમાં પ્રતીક સુરત ખાતે જતો રહ્યો હોય અને ત્યાંથી આંગડિયા મારફત વ્યાજ મોકલતો હતો પરંતુ તેણે વ્યાજ મોકલવાનું બંધ કરી દેતા રાજદીપસિંહે યુવાનને કહ્યું હતું કે પ્રતિકના વ્યાજના પૈસા તારે જ આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી તેમજ યુવાનની ઓફિસે પણ આવી ધમકીઓ આપી બળજબરીપૂર્વક પેઢીની ચેકબુકમાંથી કોરા ચેક લઈ ગયો હતો.

આ તમામ શખસો યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી ડરના લીધે તે અલગ-અલગ જગ્યાએ છુપાઈને રહેતો હતો બાદમાં પોલીસે વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબાર રાખ્યો હોય જેમાં તેણે રજુઆત કયર્િ બાદ આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણે જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1. 67 કરોડ આજે લીધા હતા જેના બદલામાં 3.81 કરોડ ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા હોય આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે મની એન્ડ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન. બોદર ચલાવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application