અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ એકસાથે 28 પીઆઇની બદલી, પોલીસબેડામાં હડકંપ, જુઓ લિસ્ટ

  • March 19, 2025 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ જાહેર રસ્તાઓ પર તલવાર અને લાકડીઓથી લોકોને માર મારી આતંક મચાવ્યાની ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા. લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કર્યા બાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસકર્મીઓ સામે લાલ આંખ કરી છે. પૂર્વ વિસ્તારના 28 પીઆઈની એકસાથએ બદલી કરી નાખતા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. 


કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી 
વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરોમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 


ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે
આ પહેલાં રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવાની સાથે ટકોર કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપીથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવા સહિત તેમના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતે માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની તૈયાર કરવામાં આવેલી યાદી પર યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જ્યારે આઇપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે. 


બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી શકે છે
અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા. અત્યારસુધી આ મામલે પોલીસે 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ 3-4 આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે. તેમાંથી ઘણાંના પરિજનોને મકાનોના લીગલ પુરાવા રજૂ કરવા ચેતવણી આપી દેવામાં આવી છે. જો તેઓ તેમાં નિષ્ફળ રહેશે તો બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.   





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application