દેવભૂમિ દ્વારકા: છોટાઉદેપુરમાં સ્વામી સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં રપ લોકોએ સનતાન હિન્દુ ધર્મ સ્વીકાર્યો
આદિવાસી અને વનવાસી સમાજના લોકોએ સ્વૈચ્છીક રીતે ગંગાજળ ગ્રહણ કરી ધર્મમાં પ્રવેશ કર્યો
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અને વનવાસી વિસ્તાર એવા વાસણા (કોશીન્દ્રા) ગામમાં શનિવારે ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે શ્રી શારદાપીઠ, દ્વારકા સંચાલિત શ્રી આનંદવર્ધન આશ્રમનું લોકાર્પણ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, સ્થાનિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આદિવાસી અને વનવાસી સમાજના ૨૫ ભાઈ-બહેનોએ સ્વૈચ્છિક રીતે ગંગાજળ ગ્રહણ કરી ભગવાન શ્રીરામના મંત્રોની દીક્ષા મેળવી સનાતન હિંદુ ધર્મમાં પુન: પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સનાતન હિંદુ ધર્મના આદર્શો, સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવનભર પાલન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમને સંબોધતા જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે શ્રી શારદાપીઠ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં પસ્વધર્માનયન યાત્રાથના માધ્યમથી ધાર્મિક જાગૃતિ અને સાંસ્કૃતિક સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે વાસણા ગામમાં શ્રી આનંદવર્ધન આશ્રમની સ્થાપનાથી આ અભિયાનને વધુ ગતિ અને મજબૂતી મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આશ્રમ માત્ર ધાર્મિક કેન્દ્ર તરીકે નહીં પરંતુ સંસ્કાર, સેવા અને સમાજજાગૃતિનું કેન્દ્ર બની રહેશે. આગામી સમયમાં તેઓ ગામે-ગામે પ્રવાસ કરીને આદિવાસી અને વનવાસી સમાજમાં સનાતન ધર્મના મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જીવન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોને વધુ વેગ આપશે. સાથે જ સમાજના લોકોમાં પોતાના મૂળ ધર્મ અને પરંપરાઓ પ્રત્યે આસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન અને આશીર્વાદ પણ આપવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયો હતો. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ પણ આશ્રમની સ્થાપનાને સમાજના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા.