રાજકોટ જિલ્લામાં 2184 ધાર્મિક દબાણો: સરકારને મોકલાયો અહેવાલ

  • June 18, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાંથી માંડી સમગ્ર રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. હવે આગામી દિવસોમાં ધાર્મિક દબાણો પર તૂટી પડવા માટે સરકાર તખતો ગોઠવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના ધાર્મિક દબાણો કેટલા છે ?તે સંદર્ભે સરકારે અહેવાલ મંગાવ્યો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારના કુલ 2184 દબાણો હોવાનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો હોવાનું ટોચના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરી વિસ્તારમાં સરકારી જમીન પરના ધાર્મિક દબાણો કેટલા છે તેનો રિપોર્ટ અલગથી મ્યુનિસિપલ કમિશનર કચેરીમાંથી મોકલવાનો થાય છે. જિલ્લામાં જે 2184 દબાણો છે તેમાં નગરપાલિકાઓ દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

રેવન્યુ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ કુલ 81 આવા ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી 36 માં નવેસરથી દબાણ થઈ ગયું છે. આમાંના અમુક દબાણો ફરી દૂર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં 38 જેટલા ધાર્મિક સ્થળો પરના દબાણો એવા છે કે તે નેશનલ હાઇવે પર છે. ડીઆઇજીઆર કચેરી દ્વારા પણ આ સંદર્ભે અલગથી સર્વે ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં આવા 208 દબાણો શોધી કાઢવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા પ્રમાણમાં ધાર્મિક દબાણ પર બુલોડોઝર ફેરવી દેવાયા પછી હવે આ સિસ્ટમથી જ રાજ્યના અન્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાની સરકારી જમીનમાં થયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની દિશામાં તંત્ર સજજ થઈ રહ્યું છે. આ સંદર્ભે ગાંધીનગરમાં રેવન્યુ અને પોલીસ વિભાગના ટોચના અધિકારીઓની એક બેઠક પણ મળી હતી અને તેમાં ધાર્મિક દબાણો દૂર કરવાના મામલે એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application