સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબીથી બે વર્ષમાં ૨૧૪ના મોત

  • March 21, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા ટીબી મુકત ભારત માટેની ઝુંબેશ જોરદાર રીતે ચાલી રહી છે. બરાબર તેવા સમયે જ બહાર આવેલી સતાવાર ચોકાવનારી આંકડાકીય માહિતી મુજબ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ છેલ્લા બે વર્ષમાં ૧૪ હજારથી વધુ ટીબીના દર્દીઓ નોંધાયા છે અને એમાંથી ૨૧૪ ના મૃત્યુ થયા હોવાનું ખુદ સુરેન્દ્રનગરના જિલ્લા ક્ષય કેન્દ્રના જિલ્લા ક્ષય અધિકારીએ આરટીઆઇમાં માગવામાં આવેલી એક માહિતીના આધારે જણાવ્યું છે.

એક સમયે જેની ગણના રાજ રોગ તરીકે થતી હતી તેવા ટીબીના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક હદે વધારાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુકત બનાવવાનું આહવાન કયુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની આ પરિસ્થિતિ ચિંતા ઉપજાવે તેવી અને ચોકાવનારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ટીબીના સૌથી વધુ કેસના મામલે વઢવાણ ધાંગધ્રા પાટડી લીંબડી અને ચોટીલા તાલુકામાં પ્રમાણમાં ગંભીર પરિસ્થિતિ છે. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ ઘણા દર્દીઓ પોતાનું નામ જાહેર ન થાય તે માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસદં કરે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ટીબીના દર્દીઓની જાણ ફરજીયાત રીતે ક્ષય નિવારણ કેન્દ્રને કરવાની હોય છે. પરંતુ સુરેન્દ્રનગરની અમુક ખાનગી હોસ્પિટલના તબીબો આવા કેસ છુપાવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જો આ વાત સાચી હોય તો આવા તબીબો સામે કડક પગલાની માગણી પણ ઊઠવા પામી છે અને ખાનગી હોસ્પિટલોમાં સર્વે કરીને આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે તો સત્તાવાર રીતે ૧૪૦૦૦ દર્દી અને ૨૧૪ ના મોતનો આંકડો પણ ઘણો વધી જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવે છે.


ટીબીને પ્રસરતો અટકાવવા માટે ૨૦૨૨ થી ટીબીના દર્દીના સંપર્કમાં રહેતી વ્યકિતને ટીબી પ્રિવેન્ટીવ થેરાપી આપવામાં આવે છે. શંકાસ્પદ દર્દી માલુમ પડે તો તેના ગળફાની તપાસ કરવામાં આવે છે. ઉધરસ– તાવની ફરિયાદ કરતા દર્દીઓના સ્પુટમની તપાસ કરવાનો પણ નિયમ છે. પરંતુ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં એકસરે મશીન બધં હાલતમાં હોય છે અને જો ચાલુ હોય તો વેઇટિંગ એટલું લાંબુ હોય છે કે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને છેલ્લે ખાનગી લેબોરેટરીમાં વધુ પૈસા ચૂકવીને તપાસ કરવામાં આવે છે


મજૂરોના આરોગ્યનું સમયાંતરે ચેકિંગ જરૂરી
ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યને જોખમમાં મૂકી બેલા અને કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોના સ્વાસ્થ્યની સમયાંતરે તપાસ થવી જોઈએ. પરંતુ સુરેન્દ્રનગર ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના અધિકારીઓ આમાં નિષ્ફળ ગયા છે. જો ટીબીની બીમારીને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો સિલિકોસિસ જેવા ગંભીર પ્રકારના રોગની સંભાવના તબીબો વ્યકત કરે છે.

કેસની સંખ્યા અને મૃત્યુનો આંકડો આટલો મોટો કેમ?
સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબીના દર્દીઓની સંખ્યાનો અને તેના મૃત્યુનો આંકડો આટલો મોટો કેમ છે ?તે બાબતે સ્થાનિક અધિકારીઓ કહે છે કે અહીં બેલા અને કોલસાની ખાણ મોટા પ્રમાણમાં છે અને તેના રજકણ વાતાવરણમાં સતત રહેતા હોવાથી ટીબીની બીમારી લાગુ પડે છે. ૧૫ દિવસ સતત તાવ ઉધરસ કફ અને લોહી આવવું ભુખ ન લાગવી વજનમાં ઘટાડો થવો વગેરે ચિન્હો વાળા દર્દીઓ આઇડેન્ટીફાય કરી અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી ના દર્દીઓના મામલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application