થાઇલેન્ડમાં પુરાતત્વવિદોને ખોદકામ દરમિયાન 2,000 વર્ષ જૂની સોનાની બે વીંટીઓ મળી આવી છે. તાજેતરમાં ખોદકામ કરાયેલા સ્થળે માનવ હાડકાં સાથે આ વીંટીઓ મળી આવી હતી. થાઇલેન્ડના ફાઇન આર્ટ્સ વિભાગે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે પેટ્ચબુરી પ્રાંતમાં ડોન યાઇ થોંગ પુરાતત્વીય સ્થળ પર ખોદકામ દરમિયાન આ વીંટીઓ મળી આવી હતી. આ વીંટીઓમાંથી એક પર બ્રાહ્મી લિપિમાં કંઈક લખાણ છે. નિષ્ણાતોએ તેને પુસારખિતાસ તરીકે ઓળખાવી છે, જેનો અર્થ પુષ્ય દ્વારા સુરક્ષિત થાય છે.
પુષ્યને ભારતીય ખગોળશાસ્ત્રમાં સૌથી શુભ નક્ષત્રોમાંનું એક માનવામાં આવે છે. ખોદકામ દરમિયાન મળેલી બીજી વીંટી માનવ અવશેષો સાથે મળી આવી હતી. તે એક સરળ વીંટી છે. પુરાતત્વવિદો માને છે કે આ વીંટીઓ વૈશ્ય સમુદાયના કોઈ ભારતીય વેપારીની હોઈ શકે છે. આ સાબિત કરે છે કે ભારતીય વેપારીઓ સદીઓ પહેલા સમુદ્ર પાર વેપાર કરતા હતા.
ડોન યાઈ થોંગ પુરાતત્વીય સ્થળ બેંગકોકથી આશરે ૧૩૦ કિમી દૂર છે. આ સ્થળ આ વર્ષની શરૂઆતમાં ત્યારે મળી આવ્યું હતું જ્યારે સ્થાનિક લોકોને ડાંગરના ખેતરમાં પ્રાચીન કાંસાના ડ્રમના ટુકડા મળ્યા હતા, જેના કારણે ખોદકામ શરૂ થયું હતું. આ સ્થળ થાઇલેન્ડના પ્રાગૈતિહાસિક સમયગાળાના અંતનું માનવામાં આવે છે, જે માનવ વસાહતનો સમયગાળો હતો જેને લોહ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આશરે ૧,૫૦૦ થી ૨,૫૦૦ વર્ષ પહેલાંનો હોવાનો અંદાજ છે.
ફેબ્રુઆરીથી, પુરાતત્વવિદોએ આ સ્થળ પરથી આઠ માનવ હાડપિંજર, કાંસા અને સોનાના દાગીના, માટીકામ અને અન્ય કલાકૃતિઓ શોધી કાઢી છે. આ વસ્તુઓ શ્રીમંત વ્યક્તિઓ અથવા ઉચ્ચ વર્ગના સભ્યો માટે ઔપચારિક અંતિમ સંસ્કાર સૂચવે છે. ફાઇન આર્ટ્સ વિભાગે જણાવ્યું હતું કે ખોદકામ એક મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ પુરાતત્વીય શોધોને જાહેર જનતા માટે પ્રદર્શિત કરવાની યોજના છે. જૂનમાં, પુરાતત્વવિદોએ ડેનમાર્કમાં એક વિશાળ વાઇકિંગ યુગ કાપડ ઉત્પાદન કેન્દ્ર શોધી કાઢ્યું. આ કેન્દ્ર 1,000 વર્ષથી વધુ જૂનું છે અને વાઇકિંગ સમાજની અદ્યતન જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે.