પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ૧૨૩ સહિત ૧૯૪ સાગરપુત્રો કેદ

  • March 18, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પાકિસ્તાની જેલમાં ગુજરાતના ૧૨૩ સહિત ૧૯૪ સાગરપુત્રો કેદ છે તેથી તેમને વહેલીતકે મુકત કરાય તેવી આશા અપેક્ષા રાખવામાં આવી છે. 
આજ પર્યંત ૧૯૪ ભારતીય માચ્છીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. જેમાંના ૧૨૩ ગુજરાતના છે. ગુજરાતના આ ૧૨૩ માછીમારોમાંથી ૩૩ એવા છે કે જે ૨૦૨૧ની સાલથી ૬૮ માચ્છીમારો ૨૦૨૨ની સાલથી  પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને ૨૦૨૩માં અને ૧૩ને ૨૦૨૪માં  પાકિસ્તાની સતાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની  જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માચ્છીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્ર્નના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી કીર્તિવર્ધનસિંહે આ માહિતી આપી હતી.
વિદેશ રાજ્યમંત્રીના નિવેદન અનુસાર,  ભારત અને પાકિસ્તાન દર વર્ષે ૧લી જાન્યુ આરી અને ૧લી જુલાઇના રોજ પોતપોતાની જેલોમાં કેદ એકબીજાના દેશના નાગરિકો અને માચ્છીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે. આ અંતર્ગત ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અપાયેલી યાદીમાં  પાકિસ્તાને તેની જેલમાં ૨૧૭ ભારતીય માચ્છીમારો કેદ હોવાનું સ્વીકાર્યુ હતુ. આ યાદી અપાઇ ત્યારથી એક ભારતીય માચ્છીમારનું અવસાન થયુ છે અને ૨૨ અન્ય ભારતીય માચ્છીમારને મુકત કરી ભારતને સોંપી દેવાયા છે. 
આ નિવેદનમાં ઉલ્લેખ કરાયો  હતો કે ભારતીય માચ્છીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માચ્છીમારના અટકાયતના જેવા સમાચાર મળે કે તુરત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ હરકતમાં આવી જાય છે. પાકિસ્તાન સરકાર પાસેથી આ માચ્છીમારો સાથે ભારતીય રાજદૂતની મુલાકાતની માગણી કરાય છે તેમજ તેમને વહેલીતકે મુકત કરીને સ્વદેશ પરત મોકલાય તેની પણ વ્યવસ્થા કરાય છે. કાનૂની સહાયતા સહિત  ભારતીય માચ્છીમારોને તમામ સંભવિત મદદ પહોંચાડાય છે. પાકિસ્તાન સરકાર સમક્ષ ભારતીય માછીમારોની વહેલીતકે મુક્તિ તેમજ સ્વદેશગમનનો મુદ્ો ઉઠાવાય છે. એટલું જ નહીં,  આ મામલો સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે તેમજ જીવનનિર્વાહને અનુલક્ષીને ધ્યાનમાં લેવામાં આવે તેવો સંદેશો આપવામાં આવે છે.
ઇન્ડિયા -પાકિસ્તાન એગ્રીમેન્ટ ઓન કોન્સ્યુલર એકસેસ ૨૦૦૮માં પાકિસ્તાન દ્વારા ધરપકડ કરાયેલા માચ્છીમારોની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા નિર્ધારિત કરાઇ છે. બંને દેશની હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી ‘ઇન્ડિયા પાકિસ્તાન જ્યુડિશિયલ કમીટી ઓન પિઝનર્સ’ દ્વારા કેદીઓ તેમજ માચ્છીમારો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર માટેના પગલાં ઉપરાંત તેમની વહેલીતકે મુક્તિની ભલામણ કરાય છે. બંને દેશની સરકારોએ ૨૦૦૮ની સાલમાં આ કમિટીની સ્થાપના કરી હતી. જેની અત્યાર સુધી સાત વખત બેઠક યોજાઇ ચૂકી છે.
વિદેશ રાજ્યમંત્રીના જવાબમાં ઉલ્લેખ કરાયો હતો કે ભારત સરકારના માચ્છીમારી વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલય દ્વારા  માચ્છીમારોનું કલ્યાણ માટે વિવિધ ફલેગશીપ કાર્યક્રમોનું સંચાલન કરાય છે. ગુજરાત સરકાર પણ કેદ કરાયેલા માચ્છીમારોના પરિવારજનોને નાણાકીય  સહાય પૂરી પાડવા રાહત યોજનાનું સંચાલન કરી રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application