જામનગરને હરિયાળું રાખવા માટે અલગ-અલગ વિસ્તારમાં ૧૫ ગાર્ડન કાર્યરત
ઔષધી વન-ઓક્સિજન પાર્કનું ત્રણ સ્થળે નિર્માણ : બાળકો માટેના મનોરંજન તથા કસરતના સાધનો અને વડીલો માટેની બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ : શહેરમાં ૨૨ જેટલા સર્કલ અને આઇલેન્ડનું પણ ગ્રીનરી સાથે નિર્માણ કરાયું: પાંચ પ્લોટમાં ફૂલ ઝાડના રોપા વાવી ગાર્ડન બનાવાયા
જામનગર શહેરને હરિયાળું બનાવી રાખવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ૧૫ જેટલા ગાર્ડન બનાવાયા છે, અને તેમાં જુદા જુદા ફૂલ ઝાડના રોપા વગેરે વાવીને ગ્રીનરી ઊભી કરવામાં આવી છે, સાથોસાથ બાળકો માટેના રમતગમત અને અંગ કસરતના સાધનો પણ મુકાયા છે, જ્યારે વડીલો માટેની બેઠક વ્યવસ્થા સાથેની સુવિધાઓ પણ ગાર્ડનમાં ઊભી કરવામાં આવી છે.
શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારમાં વનસ્પતિ અને ઔષધી સાથેના ’ઔષધીવન’ તેમજ ઓક્સિજન પૂરું પાડવા પાડી શકાય તેવા ઝાડ નું વાવેતર કરીને બે ’ઓક્સિજન પાર્ક’ પણ બનાવાયા છે, ઉપરાંત શહેરના અલગ અલગ ૨૨ જેટલા સર્કલ અને આઇલેન્ડને પણ ડેવલપ કરીને તેમાં પણ ગ્રીનરી વાવી શહેરમાં શુશોભન કરાયું છે, જયારે અલગ અલગ વિસ્તારમાં પાંચ પ્લોટ માં પણ ફૂલ ઝાડ વગેરે નું વાવેતર કરીને ગ્રીન આઇલેન્ડ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડન શાખાના ૪૮ કર્મચારીઓની ટીમ સમગ્ર ગાર્ડન તેમજ આઇલેન્ડ વગેરે ની વ્યવસ્થા સંભાળી રહી છે.
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ક્રમશ: એક પછી એક ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે, અને હાલમાં શહેરમાં અલગ અલગ કુલ પંદર ગાર્ડન કાર્યરત છે. જેમાં સંગમ બાગ, નેવિલ પાર્ક, નંદ ધામ પાર્ક, રાજપાર્ક ગાર્ડન, હાપા ગાર્ડન, લાલવાડી ગાર્ડન, સ્વામી વિવેકાનંદ ગાર્ડન, વિરલ બાગ, દાદા દાદી ગાર્ડન, જોગર્સ પાર્ક, આનંદ બાગ, આઝાદ બાગ, રાણી જગદંબા બાગ, કમલા નહેરૂ પાર્ક, અને ડો. આંબેડકર બાગ વગેરેનો સમાવેશ થાય છે.તમામ ગાર્ડનમાં જુદી જુદી વનસ્પતિ, ફૂલ ઝાડ ના રોપા વગેરેનું વાવેતર કરાયું છે, અને તેમાં દૈનિક પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખામાં કુલ ૪૮ કર્મચારીઓ, જે તમામ દ્વારા શહેરના પ્રત્યેક ગાર્ડન નું સંચાલન કરવામાં આવી રહ્યું છે, અને સવારથી મોડી સાંજ સુધી તમામ પાર્ક ખુલ્લા રહે છે.
મુખ્યત્વે ગાર્ડનમાં નાના બાળકો માટેના હિંચકા, લપસીયા, ઊંચક-નીચક સહિતના સાધનો, સાથો સાથ અંગ કસરતના સાધનો પણ વસાવાયેલા છે, અને નાના બાળકો સહિતના લોકો અલગ અલગ વિસ્તારમાં તેનો પ્રતિદિન લાભ લેતા હોય છે. જેની સાથે ગાર્ડનમાં બેસી શકાય તે માટે ખાસ કરીને વડીલો માટેની બાંકડાઓ સહિતની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જ્યારે ગાર્ડનમાં પિવાના પાણી સહિતની વ્યવસ્થા પણ રખાયેલી છે.નગર ને હરિયાળું રાખવાના ઉદ્દેશ્યથી તમામ ગાર્ડનના સંચાલન થઈ રહ્યા છે, ત્યારે નાના મોટા બાળકોને કસરત અને મનોરંજનના સાધનો મળી રહે, તેમજ મોટી ઉંમરના વયસ્કોને નિરાંતે બેસવાની સુવિધા પ્રાપ્ત થાય, તેવા ઉદ્દેશ્ય થી તમામ ગાર્ડનનું મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં અલગ અલગ ૨૨ જેટલા સર્કલ અને આઇલેન્ડ નું નિર્માણ કરાયું છે, જેમાં જકાતનાકા સર્કલ આઇલેન્ડ, ટ્રાઈએંગલ આઇલેન્ડ, ગુલાબ નગર આઈલેન્ડ, મહાપ્રભુજી બેઠક આઇલેન્ડ, દરબારગઢ સર્કલ, સમર્પણ સર્કલ, દિગજામ સર્કલ, લાલ બંગલા સર્કલ, ખોડીયાર કોલોની આઇલેન્ડ, હાથ જોડ સર્કલ, લોટસ સર્કલ, ચાંદી બજાર સર્કલ, પાયલોટ બંગલો આઇલેન્ડ, ઓસવાળ સર્કલ, ઝુલેલાલ સર્કલ, રક્ષા શક્તિ આઇલેન્ડ, મોતી ફાઉન્ટેન આઇલેન્ડ, મહારાણા પ્રતાપ સર્કલ, વિનું માંકડ આઈલેન્ડ, શહીદ ભગતસિંઘ આઇલેન્ડ, નરસિંહ મહેતા સ્ટેપ આઇલેન્ડ અને વિવેકાનંદ સર્કલ નો સમાવેશ થાય છે. જે પૈકી પાંચથી વધુ સ્થળે રંગીન આકર્ષક ફુવારાઓ પણ મૂકવામાં આવ્યા છે.મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાંચ પ્લોટ કે જેમાં પણ ફૂલ ઝાડના રોપાઓનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવ્યું છે, જે પૈકી કાલાવડ રોડ પર ચીકુવાડી, મારુતિ સર્વિસ સેન્ટરની સામેના પ્લોટ, સોનલ નગર પાસે નો પ્લોટ, જામનગર-રાજકોટ રોડ પર હોન્ડા શોરૂમ પાસેના પ્લોટ, તેમજ અન્નપૂર્ણા ચોકડી પાસે ના પ્લોટ માં ફૂલ ઝાડના રોપા સાથેનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગુલાબનગર લાલવાડી રોડ પર તાજેતરમાં જ વન કવચ નામક ઓક્સિક્સન પાર્ક તૈયાર કરાયું છે, જેમાં એક હજારથી વધુ અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરાયું છે, અને ખાસ કરીને ઓક્સિજનનો પ્રાણ વાયુ મળી રહે તે માટેના આ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું છે. તેજ રીતે મહાપ્રભુજીની બેઠક પાસે પણ અન્ય એક ઓક્સિજન પાર્ક નિર્માણ પામ્યું છે.શહેરમાં આવેલું જોગર્સ પાર્ક કે જેનું નામ ’ઔષધી વન’ તરીકે પણ રાખવામાં આવ્યું છે, અને તે પાર્કની અંદર પણ અલગ અલગ વનસ્પતિ અને ઔષધી નું વાવેતર કરીને નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં જામનગરની આયુર્વેદિક યુનિવર્સીટીના તજજ્ઞોની પણ મદદ લેવામાં આવી છે. જામનગરના માજી રાજવી ના જામ ધર્માદા ટ્રસ્ટ ના સહકારથી આ ઔષધીવન નું નિર્માણ થયું છે, તેમજ જોગર્સ પાર્ક તરીકે પણ પ્રચલિત છે, અને પાર્કની આસપાસના વિસ્તારમાં લોકોને ચાલવા માટેનો ટ્રેક પણ બનાવેલો છે. જેનો પણ બહોળી સંખ્યામાં નગરજનો લાભ લેતા હોય છે.
મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, ગાર્ડન વિભાગના અધિકારી હરેશ વાણીયા, ઉપરાંત ગાર્ડન શાખા ના ઈજનેર મહર્ષિ પૂરોહિત સહિતના અધિકારીઓ અને અન્ય ગાર્ડન શાખાના ૪૮ જેટલા સ્ટાફ વગેરેની જહેમતથી તમામ ગાર્ડન તેમજ સર્કલ અને આઇલેન્ડનું સંચાલન થઈ રહ્યું છે.