જામનગર: પુત્ર અને પતિએ નોંધાવેલો વિલ રદ્દ કરવાનો દાવો ફગાવતી કોર્ટ
જામનગર જીલ્લાના ખિમરાણા મુકામે રે.સ.નં. ૪૦૭/૨/૨ અને રે.સ.નં. ૭૧ વાળી ખેતીની જમીનો ગુજ. રવજી જાગાની આવેલ હતી. રવજી જાગા અવસાન પામતા તેમની પુત્રી રાજુબેનનું નામ દાખલ કરવામાં આવેલ. રાજુબેનએ પોતાની હૈયાતીમાં રજી. વિલ કરેલ અને આ ખેતીની જમીનોમાં જે કાઈ હક્ક હિસ્સો હોય તે વલ્લભ નારણ ધારવીયા તથા ઠાકરસી નારણ ધારવીયાને વિલથી આપેલ. રાજુબેનના અવસાન બાદ તેમના પતિ ડાયાભાઈ જુઠાભાઈ રાઠોડ અને પુત્ર ગોપાલ ડાયાભાઈ રાઠોડ તરફથી એવો દાવો દાખલ કરવામાં આવેલ કે, રાજુબેન એ કયારેય કોઈ વિલ કરેલ નથી કે રાજુબેનને વિલ કરવાનો કોઈ હક્ક હતો નહીં ફક્ત પાક વિમાની રકમ માટે ધક્કા ખાવા ન પડે તે માટે લખાણ કરેલ તે સંજોગોમાં રાજુબેનનું રજી. વિલ રદ્દ કરવા દાવો દાખલ કરેલ.
પ્રતિવાદી કહેવા મુજબ રાજુબેનને પોતાના પિતા રવજીભાઈ પાસેથી મિલકત મળેલ હોય રાજુબેનની સ્વતંત્ર મિલકત કહેવાય અને તેણીને વિલ કરવા હક્ક હતો. રાજુબેન આ કાયદેસરનું રજી.વિલ કરેલ છે. પ્રતિવાદીએ આ દાવામાં અસલ રજી. વિલના સાક્ષિની જુબાની પણ લીધેલ તેમજ રજીસ્ટ્રાર કચેરીને પણ સાક્ષી તરીકે જુબાની લીધેલ.
આ દાવો ચાલી જતાં જામનગરના ૮માં એડી. સીની. સિવિલ જજ મોહિત શર્માએ દાવો રદ્દ કરતાં જણાવેલ છે કે વિલના સાક્ષીને વિલમાં શુ લખેલ છે તે જાણવાની જરૂર નથી. સાક્ષીએ વિલ કરનારની સહી સાબિત કરવાની હોય છે. પુરાવાનો બોજો વાદી ઉપર છે.
વાદીએ પાક-વિમાના કાગળોના બહાના હેઠળ વિલ કરાવેલ હોવાનું વાદીએ સાબીત કરેલ નથી. હિન્દુ-લો મુજબ રાજૂબેન પોતાના ભાગની જમીનના માલિક હતા અને વિલ કરવાનો હક્ક હતો. વાદીએ વિલ દગાથી કરાવેલ હોવાનું સાબિત કરેલ નથી.તેથી વિલ કાયદેસરનું છે. તેથી આ વિલ રદ કરવાનો દાવો રદ કરવામાં આવેલ છે. પ્રતિવાદી તરફે વકીલ અનિલ સી. કોઠારી, રવીન્દ્ર વી. વાઘેલા, વિશાલ એન. વાઘેલા રોકાયેલ હતા.