જામનગર : રસનાળ અને કાન વીરડી ગામે જળ-સંચય કાર્ય નો શુભારંભ
રોટરી કલબ ઓફ જામનગર અને BJS જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના પ્રતિનિધિઓ જીગ્નેશ શાહ, શરદ શેઠ, સમીર મહેતા, આશિષ દોશી, જયેશ મહેતા તથા ગ્રામ-જનો ની ઉપસ્થિતિ માં નવકાર મહા-મંત્ર સાથે રસનાળ અને કાન-વીરડી ખાતે તળાવ ઊંડા કરવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો.
રોટરી ક્લબ જામનગર અને જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા જામનગર જીલ્લાના ગામડાઓમાં તળાવ ઊંડા ઉતારી વર્ષા જળ સંચિત કરવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષના ચોમાસા પહેલા, 35 કરોડ લીટર થી વધુ જળ-સંચય ક્ષમતા વધારવા માટે સંસ્થાના સક્રિય, કર્મઠ કાર્યકરો કટિબદ્ધ છે.
આ શ્રુંખલા માં તા. ૧૨ એપ્રિલ ના રોજ જોડિયા તાલુકા ના રસનાળ અને લાલપુર તાલુકાના કાન વીરડી ગામે જળ-સંચય કરવા માટે તળાવમાંથી માટી કાઢવાના કાર્યની શરૂઆત કરવામાં આવી.
તળાવો ઊંડા ઉતારવાથી નીકળતી માટી / કાંપ ખેડૂતોને તેમની ખેતરની જમીન સુધારણા માટે આપવામાં આવે છે. આમ આ પ્રોજેક્ટના અનેક વિધ ફાયદાઓ છે.વરસાદી પાણીની સંગ્રહ ક્ષમતા વધે છે, ખેડૂતોની ખેતીની જમીનમાં સુધારો થાય છે અને તેના કારણે પાકનું ઉત્પાદન પણ વધે છે, ભૂગર્ભ-જળના સ્તર ઊંચા આવે છે અને ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરે છે.
વરસાદી જળનો સંગ્રહ વધવાથી લાંબો સમય સુધી તળાવોમાં પાણી રહે છે જે અનેક જીવ-જંતુ, પશુ-પક્ષી અને ઢોર-ઢાંખર માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
ગુજરાતના પનોતા પુત્ર, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જળ-સંચય માટે ના આહ્વાન ને ઝીલી બંને સંસ્થા દ્વારા સંયુક્ત રીતે, સરકારની મંજુરી સાથે, સ્વ-ભંડોળથી જળ-સંચય અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
ગામડાના તળાવો ઊંડા કરી જળ-સમૃદ્ધિ અને ગ્રામ-સમૃદ્ધિ વધારવાનો નરેન્દ્રભાઈ નો મૂલ્યવાન વિચાર મૂર્તિમંત કરવા માટે બંને સસ્થાઓ સંયુક્ત રીતે પ્રયાસ કરે છે તેના સુચારુ પરિણામો નજીકના ભવિષ્યમાં જ જોવા મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.