જામનગર પંથકમાં અચાનક ઢળી પડતા બે યુવાનના મૃત્યુ
મેઘપરમાં ૩૧ વર્ષીય પંજાબી યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ : જામનગરમાં નર્સિંગ સ્ટાફ બ્રધરનું એકાએક પલ્સ ધીમા પડી ગયા બાદ મૃત્યુ : પરિવારજનોમાં શોકનુ મોજુ
જામનગર પંથકમાં બે યુવાનના અચાનક મૃત્યુ નિપજયાના બનાવો સામે આવતા અરેરાટી ફેલાઇ ગઇ છે, મેઘપર ગામમાં રહેતા પંજાબના વતની શ્રમિક યુવાનનું હાર્ટએટેક આવી જતા મૃત્યુ થયુ છે જયારે જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ બ્રધર યુવાનનું અચાનક અપમૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નસિર્ંગ બ્રધરના પલ્સ ધીમી પડી જતા સારવારમાં લઇ જતા મૃત્યુ થયાનુ જાણવા મળ્યુ છે જે બાબતે ચોકકસ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.
મુળ પંજાબના અમૃતસરના લોહરનવાલાના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મજુરી કરતા ગુલશનસિંગ સવિન્દરસિંગ શિખ (ઉ.વ.૩૧) નામનો યુવાન તા. ૧૮ના પોતાના રૂમમાં ન્હાવા માટે ગયા હતા જયાં અચાનક બેભાન થઇને ઢળી પડતા હાર્ટએટેક આવતા હોસ્પીટલ લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મૃત્યુ નિપજયાનું જણાવ્યુ હતું આ બનાવ અંગે મુળ પંજાબના ચમકોરસિંગ દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવની માહિતી મુજબ મૂળ ગીર સોમનાથના ઉના ગામના વતની, ખંભાળીયા નાકા પાસે રહેતા ભાર્ગવ મનુભાઈ સાંખટ (ઉ.વ.૨૨) ઓશવાળ આયુષ હોસ્પિટલમાં નર્સીંગ તરીકે ફરજ બજાવતા હતા. તા. ૧૭ એપ્રિલના રોજ તેઓ હોસ્પિટલમાં પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા.
આ દરમિયાન તેમના મિત્ર પ્રદીપભાઈ મશરીભાઈ કવાડ તેમને ચા પીવા માટે બોલાવવા ગયા હતા. ત્યારે ભાર્ગવભાઈ બેડ ઉપર બેભાન હાલતમાં જોવા મળ્યા હતા અને કોઈ પ્રતિસાદ આપતા ન હતા. પ્રદીપભાઈએ તરત જ પલ્સ ચેક કરતા નબળી જણાતા હોસ્પિટલના સ્ટાફને જાણ કરી અને તેમને ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.