ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો અથડાતા બે યુવાનોના મૃત્યુ
પવનચક્કીની કંપનીના કર્મચારીઓ કારમાં સાઇટ પર જતા માર્ગમાં અકસ્માત નડ્યો : ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનમાં યુવાનનો ભોગ લેવાયો
જામનગર પંથકમાં બે જુદા જુદા વાહન અકસ્માતના બનાવમાં ત્રણ યુવાનના મૃત્યુ થયા છે. લાલપુરના ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો કારમાં બેઠેલા ખાનગી પવનચક્કીની કંપનીના બે કર્મચારીઓ, કે જેઓને ગંભીર ઈજા થઈ હોવાથી બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા છે. સમગ્ર અકસ્માત મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે. જયારે ખીજડીયા બાયપાસ પાસે ટ્રક હડફેટે એક યુવાનનું મોત નિપજયુ હતું.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતો અને એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો જગદીશ સામતભાઈ ગોજીયા નામનો (ઉ.વ.૨૫)યુવાન પોતાના જ સાથી કર્મચારી મિલન લક્ષ્મણભાઈ બંધીયા (ઉ.વ.૨૨) સાથે ઇકો કારમાં બેસીને લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને પોતાના કંપનીના કામ અર્થે એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા હતા.જે દરમિયાન વહેલી સવારે આગળ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે ઇકો કાર નં. જીજે૧૬બીજી-૨૫૨૦ અથડાઈ પડતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ઇકો કાર ચાલક જગદીશભાઈ અને બાજુની સીટમાં બેઠેલા મિલન બંધીયા બંનેને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે રાજશીભાઈ અરશીભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ આકસ્માતમાં બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે કરુણાન્તિકા છવાઈ છે.
અન્ય બનાવમાં જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ભીખુભાઈ નરશીભાઈ ભોજાણી નામનો ૪૦ વર્ષનો યુવાન તા.૧૦ના ખીજડીયા બાયપાસ પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. -૩ બી.ડબ્લ્યુ-૨૮૯૧ નંબરના ટ્રકના ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખતા ગંભીર ઇજા થઈ હતી અને તેનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવા અંગેની મૃતકની બહેન લક્ષ્મીબેન પ્રવીણભાઈ ગોહિલે પોલીસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ આર પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.