જામનગર અને કાલાવડમાં ગળાફાંસો ખાઇ બે યુવતિએ જીવાદોરી ટુંકાવી
બંનેના પરિવારમાં શોકની લાગણી : પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગરના ગોકુલનગરમાં પાર્લરમાં કામ કરતી એક યુવતિએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી છે, જયારે કાલાવડના જીવાપર રોડ પર એક યુવતિએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
જામનગરના ગોકુલનગર હાર્ડવેરવાળી ગલીમાં રહેતી અને પાર્લરમાં કામ કરતી હીનાબેન કેતનભાઇ ગોહિલ (ઉ.વ.૨૦) નામની યુવતિને પાંચેક મહિના પહેલા તેના ભાઇ સાથે બોલાચાલી થતા ઘરેથી અલગ ભાડે રહેતી હતી દરમ્યાનમાં ગઇકાલે તેણીએ પોતાના રૂમમાં કોઇ કારણસર દુપટ્ટા વડે પંખામાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું, આ અંગે તેણીની માતા મનિષાબેન ગોહિલ દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી જેની તપાસ હેડ કોન્સ. પરમાર ચલાવી રહયા છે.
બીજા બનાવમાં કાલાવડના મોટી વાવડીના વતની અને હાલ જીવાપર રોડ રાધેશ્યામ પાર્કમાં રહેતી રૂપલબેન મહેશ ઉર્ફે રમેશભાઇ ખોડા (ઉ.વ.૩૦) નામની યુવતિએ ગઇકાલે પોતાના રૂમે પંખામાં સાડી સાથે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ છે. આ અંગે મહેશ હીરાભાઇ ખોડાએ ટાઉન પોલીસમાં જાણ કરી હતી. જેમા જણાવ્યુ હતું કે જાહેર કરનારના કાકાનો દિકરો કયાંક જતો રહયો જે બાબતનું મરણજનાર લાગણીશીલ હોવાના કારણે લાગી આવતા આ પગલુ ભરી લીધાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.