જામનગરમાં ગરમીમાં વધ-ઘટ: તાપમાન ૩૬ ડીગ્રી
અખાત્રીજ આસપાસ માવઠાની આગાહી
જામનગર સહિત સમગ્ર હાલારમાં સુર્યદેવતા ધીમે ધીમે કોપાયમાન થઇ રહ્યા છે. ગઇકાલે પવન પણ ફુંકાયો હતો તેની સાથે બપોરે ૧૧ થી ૫ દરમ્યાન અસહ્ય ગરમી જોવા મળી હતી. રાજયમાં ૪૨ ડીગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. જયારે ૩૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાયો હતો. ફરી એક ચિંતા એ આવી છે કે અખાત્રીજ આસપાસ ફરીથી એકવાર માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડુતોમાં ચિંતાની લાગણી જન્મી છે.
ગઇકાલે આખો દિવસ સૌરાષ્ટ્રમાં સુર્યદેવતા કોપાયમાન રહ્યા હતા. રાજકોટમાં તો ગરમીએ માઝા મુકી હતી. સતત ત્રીજા દિવસે રાજકોટનુ તાપમાન ૪૦ ડીગ્રીને પાર થઇ ગયું હતું. અધુરામાં પુરુ હોય તેમ અખાત્રીજ આસપાસ રવિ, સોમ દરમ્યાન ફરીથી એક વખત માવઠાનો માર પડે તેવી શકયતા છે જેને લીધે ખેડુતોમાં ફરીથી ચિંતાનો માહોલ જન્મ્યો છે.
કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૬ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૫ ડીગ્રી, હવામાં ભેજ ૬૯ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. ઓખાનું તાપમાન સામાન્ય રીતે ઓછુ રહેતુ હોય છે પરંતુ ગઇકાલે ત્યાં પણ તાપમાન ૩૩ ડીગ્રીની આસપાસ રહ્યું હતું.
ખાસ કરીને અખાત્રીજના પવિત્ર દિવસે એટલે રવિ સોમ આસપાસ હવામાન ખાતાએ ફરીથી એક વખત માવઠુ આવવાની આગાહી કરી છે ત્યારે અવાર નવાર માવઠાના મારથી ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઘઉં, મરચા, રાય, મેથી, જીરૂ જેવા કેટલાક પાકો તૈયાર થઇ ગયા હોય ત્યારબાદ માવઠુ થવાથી ખેડુતોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. એટલે કે આ વખતે લગભગ ચારેક માવઠા થઇ ચુકયા છે. આમ ધીમે ધીમે ગરમી વધતી જાય છે. આજ સવારથી જ ગરમીનો માહોલ જોવા મળ્યો છે.