જામનગર : ધ્રોલમાં મકાનમાંથી ૪.૩૬ લાખના મુદામાલની ચોરી
કબાટનો લોક રીપેરીંગ કરવાના બહાને ગઠીયો કળા કરી ગયો : સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી
ધ્રોલના પડધરી નાકામાં વાણીયા ચોક ખાતે આવેલા એક મહિલાના રહેણાંક મકાનમાં કબાટનો લોક રીપેરીંગ કરવા માટે આવેલો અજાણ્યો શખ્સ દાગીના મળી ૪.૩૬ લાખનો મુદામાલ ચોરી કરી ગયાનો બનાવ બહાર આવ્યો છે, ફરીયાદ અનુસંધાને સરદારજીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ધ્રોલમાં પડધરીના નાકામાં આવેલ વાણીયા ચોક ખાતે રહેતા જાનીબેન ભલાભાઇ ભુડીયા (ઉ.વ.૫૧) નામની મહિલાએ ધ્રોલ પોલીસમાં એક અજાણ્યા સરદારજી સામે ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે. જેની વિગત મુજબ ગત તા. ૨૪ના સમય દરમ્યાન ફરીયાદીના મકાનની બાજુની શેરીમાં એક અજાણ્યો સરદારજી લોક રીપેરીંગ કરવા માટે આવ્યો હતો.
દરમ્યાનમાં ફરીયાદી જાનીબેને પોતાના કબાટનો લોક રીપેર કરવા માટે તેને બોલાવ્યો હતો અને ઘરે લોક રીપેર માટે આવતા ફરીયાદીએ કબાટની ચાવીનો જુડો આપ્યો હતો આવેલા અજાણ્યા શખ્સે લોક રીપેરીંગના બહાને ફરીયાદી મહિલાને તેલ લેવાનું કહયુ હતુ આથી તેણી તેલ લેવા જતા આવેલા શખ્સે મહિલાની નજર ચુકવીને કબાટની અંદર તિજોરીમાં રહેલા સોનાનો ૫ તોલાનો હાર, ગળામાં પહેરવાનુ સોનાનુ પેન્ડલ, પગના ચાંદીના સાંકળા, હાથમાં પહેરવાનુ ચાંદીનુ કડુ મળી કુલ ૪.૩૬ લાખના દાગીના ચોરી કરી ગયો હતો આથી મામલો પોલીસમાં પહોચ્યો હતો. ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.