જામનગરમાં રંગમતી નદી પર નવો બ્રીજ: મે માસમાં જુનો બ્રીજ તોડાશે
હજારો નાના વાહનો માટે ડાયવર્ઝન તૈયાર, મોટા વાહનો પર પ્રતિબંધ; રૂ. 18 કરોડના ફોર-લેન બ્રીજનું કામ શરૂ થવાનું
જામનગર શહેરના કાલાવડના નાકા બહાર આવેલા રંગમતી નદી પરના વર્ષો જૂના ઓવરબ્રીજની જર્જરિત હાલત અંગે સતત રજુઆતો બાદ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂ. 18 કરોડના ખર્ચે નવો ફોર-લેન રિવર ઓવરબ્રીજ બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે.
નવા બ્રીજના કામ પહેલા, હાલના બ્રીજ નીચે રોજિંદા હજારો નાના વાહનોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. મોટા વાહનો માટે આ માર્ગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી મે માસ દરમિયાન જૂના બ્રીજને તોડી પાડવાની કામગીરી શરૂ થવાની છે.
મોરબી અને ગંભીરા બ્રીજ દુર્ઘટનાઓ બાદ સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને નવા બ્રીજની માંગ વધુ મજબૂત બની હતી. હાલનો બ્રીજ સાંકડો અને નબળો બની ગયો હોવાથી ટ્રાફિક માટે જોખમી બન્યો હતો.
ગત ચાર મહિનાથી બ્રીજની નીચે કામચલાઉ રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. તંત્ર દ્વારા નવો 4-5 ગાળા ધરાવતો બ્રીજ લગભગ ચાર મહિનામાં તૈયાર કરવાની યોજના બનાવાઈ છે.
નવો બ્રીજ તૈયાર થયા બાદ નદીના સામા કાંઠે આવેલી ડઝનબંધ સોસાયટીઓના રહિશોને સલામત માર્ગ મળશે અને વર્ષોથી ચાલતી ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે.