↵જામનગરમાં આરટીઇના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, આવકના દાખલામાં વિલંબથી દેકારો
જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા કાલે મળશે તેમ જણાવાતા ફોર્મ કેમ ભરવા તે અંગે વાલીઓમાં ભારે મૂંઝવણ અને ચિંતા
જામનગરમાં આરટીઇના ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ હોય આવકના દાખલામાં વિલંબથી વાલીઓમાં દેકારો બોલી ગયો છે. જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા કાલે મળશે તેમ જણાવાતા ફોર્મ કેમ ભરવા તે અંગે વાલીઓમાં ભારે મૂંઝવણ અને ચિંતાની લાગણી ફેલાઇ છે. સમયસર દાખલો ન મળતા ફોર્મ નહીં ભરી શકાય તેવી ફરિયાદો વાલીઓમાં ઉઠી છે. આરટીઇના ફોર્મ ભરવાના છેલ્લા દીવસે એટીવીટી કેન્દ્રમાં આવકના દાખલા માટે લાંબી કતારો જોવા મળી હતી.
જામનગરમાં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ધો.૧ માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. ૪ એપ્રિલથી આ પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. આજે આરટીઇના ફોર્મ ભરવાનો અંતિમ દીવસ છે. આરટીઇના ફોર્મમાં અન્ય જરૂરી દસ્તાવેજની સાથે આવકનો દાખલો અપલોડ કરવો જરૂરી છે. આથી શરૂ સેકશન રોડ પર આવેલા જનસેવા કેન્દ્રમાં આવકનો દાખલો મેળવવા સવારથી વાલીઓની લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ આવકના દાખલા કાલે મળશે તેમ જણાવામાં આવ્યાનું વાલીઓને જણાવામાં આવ્યાની ફરિયાદો ઉઠી છે.
જો કાલે આવકનો દાખલો મળે તો ફોર્મ આજે કેવી રીતે ભરી શકાય તે અંગે વાલીઓ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. કારણ કે, આજે ફોર્મ ભરવાનો અંતિમ દીવસ છે. આથી કાલે આવકનો દાખલો મળે તેનો કોઇ હેતુ રહેતો નથી. આથી આવકના દાખલામાં વિલંબ થતા અને કાલે મળશે તેમ જણાવાતા વાલીઓમાં દેકારો બોલી ગયો હતો.