↵જામનગરની વિદ્યાર્થીને રાજ્યકક્ષાએ સતશુભાષીત પંડિત પદવી પ્રાપ્ત
ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં વેદાંશી મહેતાને ૨૧ હજારની રકમ સાથે સન્માનિત
ગાંધીનગર: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલના નિવાસસ્થાન લોકભવનમાં સંપૂર્ણ ગીતા કંઠપાઠ અને શતસુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓને ગીતા ભૂષણ અને શતસુભાષિત પંડિત જેવી ગૌરવસભર પદવીઓ એનાયત કરવામાં આવી. રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજયભાઈ પાલીવાલ સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે મૂળ અમદાવાદના વતની અને હાલ જામનગર ખાતે વસવાટ કરતા દીપલબેન તથા કૈરવભાઈ મહેતાની પુત્રી કુમારી વેદાંશી મહેતાએ શતસુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાએ શતસુભાષિત પંડિત પદવી પ્રાપ્ત કરી છે. વેદાંશીએ સો સુભાષિતોનું સ્વચ્છ ઉચ્ચારણ, યોગ્ય અર્થ અને સુંદર છંદમાં રજૂઆત કરીને વિશેષ પ્રતિભા દર્શાવી હતી. આ સાથે તેને રૂ.૨૧,૦૦૦ની સન્માન રકમ પણ એનાયત કરવામાં આવી હતી. ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વેદાંશીએ રાજ્યકક્ષાએ સન્માન મેળવી કુટુંબ તેમજ જામનગર શહેરનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ બનાવ્યું છે