↵
ભારત પાસે ૨૦૩૫ સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે ઇસરોએ રશિયા સાથે ભાગીદારી કરવા તૈયારી કરી
મોસ્કોમાં આયોજિત એક અવકાશ મંચમાં ઇસરોના એક વરિષ્ઠ અધિકારીએ આ જાહેરાત કરી
ભારતીય અવકાશ સંશોધન સંગઠને ભારતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્પેસ સ્ટેશનના નિર્માણમાં રશિયા સાથે ભાગીદારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મોસ્કોમાં આયોજિત એક અવકાશ મંચમાં ઇસરોના એક વરિષ્ઠ અધિકારીએ આ જાહેરાત કરી હતી. ઇસરોના જણાવ્યા અનુસાર, ભારતનું પ્રસ્તાવિત સ્પેસ સ્ટેશન ૨૦૩૫ સુધીમાં તૈયાર થઈ જશે અને પૃથ્વીથી આશરે ૪૫૦ કિમીની ઊંચાઈએ સ્થિત હશે અને તેનો ઢાળ ૫૧.૬ ડિગ્રી હશે.
ઇસરોના પ્રોપલ્શન કોમ્પ્લેક્સના ડિરેક્ટર એ પાકીરાજે જણાવ્યું હતું કે ભારત બીએએસ વિકસાવવામાં રશિયાના અનુભવનો લાભ લેવા માટે સહયોગ ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો નિયંત્રણ પ્રણાલીઓ, વીજ પુરવઠો, સંદેશાવ્યવહાર અને ટ્રેકિંગ જેવા મહત્વપૂર્ણ સબસિસ્ટમ્સ પર સાથે મળીને કામ કરી શકે છે.
ભારતનું સ્પેસ સ્ટેશન રશિયન સ્પેસ સ્ટેશન જેવું જ હશે. ભારત અન્ય અવકાશ એજન્સીઓ સાથે પણ સહયોગ શોધી રહ્યું છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ૨૦૩૦-૩૧ સુધીમાં બંધ થવાનું છે. આનાથી વૈશ્વિક સહયોગ અને નવા અવકાશ મથકોના નિર્માણની તકો વધી રહી છે. હાલમાં, ચીન એકમાત્ર દેશ છે જ્યાં સક્રિય માનવયુક્ત અવકાશ મથક છે.
રશિયા ભારતને ઓર્બિટલ મોડ્યુલ્સ, લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ અને ડોકિંગ સિસ્ટમ્સ જેવી મહત્વપૂર્ણ તકનીકોમાં મદદ કરી શકે છે. રશિયાને મીર સ્પેસ સ્ટેશન અને આઇએસએસના રશિયન ભાગ, રશિયન ઓર્બિટલ સેગમેન્ટનો વ્યાપક અનુભવ છે.ભારત અને રશિયાનો અવકાશ સહયોગનો લાંબો ઇતિહાસ છે.
સોવિયેત યુનિયન (હવે રશિયા)એ ૧૯૮૪માં રાકેશ શર્માને અવકાશમાં લોન્ચ કરવામાં મદદ કરી હતી. ભારતનો પ્રથમ ઉપગ્રહ, આર્યભટ્ટ, પણ ૧૯૭૫માં સોવિયેત યુનિયની લોન્ચ કરવામાં આવ્યો હતો.