જામનગર : સલાયા બંદરની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર
જીલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ સલાયા નગરપાલિકાના અધિકારીઓને પણ સફાઈ બાબતે આપી કડક સૂચના
સલાયા બંદરની રવિવારના સાંજે આકસ્મિક મુલાકાત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશકુમાર તન્ના બંદરે પહોંચ્યાં હતા.જ્યાં તેમને ફિશરીઝ વિભાગનાં અધિકારીઓ અને પોર્ટના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી માહિતી મેળવી હતી. તેમજ ત્યારબાદ સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો.
જેમાં માછીમારના આગેવાનો દ્વારા તેમના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં ફિશરીઝ વિભાગ દ્વારા નિર્મિત ગોડાઉનના બન્યા બાદ આકસ્મિક સંજોગોમાં પણ માછીમારોને ઉપયોગ કરવા દેવામાં આવતું ન હોય જે વિશે રજૂઆત કરી હતી.તેમજ સલાયા બંદરના માછીમારોના ડીઝલ પાસ પણ રદ કરેલ હોય જે માટે પણ રજૂઆત કરી હતી.આ રજૂઆતમાં સલાયા માછીમાર મંડળીના પ્રમુખ સિદીક જસરાયા દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા નગરપાલિકા અધિકારીઓને પણ સલાયામાં સફાઈ બાબતે કડક સૂચના અપાઈ હતી.તેમજ માછીમારોના પ્રશ્નો બાબતે ફિશરીઝના અધિકારીઓ અને પોર્ટના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી સરકારના નિયમ મુજબ માછીમારોને મદદરૂપ થવા જણાવ્યું હતું.જિલ્લા કલેક્ટર તન્ના સાથે પ્રાંત અધિકારી કે.કે. કરમટા પણ હાજર રહ્યા હતા.