*જામનગરના 'ગુજસીટોક' ના આરોપી એવા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીને 'મનપા' ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કોર્ટની મંજૂરી*
*રાજકોટની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો નિર્ણય :પોલીસ જાપ્તા વચ્ચે આજે ઉમેદવારી નોંધાવવાની મંજૂરી અપાઈ*
જામનગરના 'ગુજસીટોક' પ્રકરણમાં પકડાયેલા અને પોલીસ રિમાન્ડ પર રહેલા આરોપી તથા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી ને રાજકોટ સ્થિત સ્પેશિયલ કોર્ટ દ્વારા ઉમેદવારી પત્ર ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
અદાલતે આ મુદ્દે આરોપીના વકીલ જામનગરના જાણીતા એડવોકેટ વી.એચ. કનારા તથા ડીવાયએસપી જે. એન. ઝાલા ની દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર અસલમ ખીલજીને આજે ૯ તારીખે બપોરે ૧૧.૦૦ વાગ્યાથી ૧.૦૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન પોલીસ જાપ્તા વચ્ચે રહીને ઉમેદવારી પત્ર ભરવાની છૂટ આપવામાં આવી છે.
બચાવ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી, કે પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજી છેલ્લા ચાર ટર્મ (૨૦ વર્ષ)થી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાતા આવે છે, અને પોતાના વિસ્તારના કોર્પોરેટર રહ્યા છે. તેઓ સતત પાંચમી વખત ચૂંટણી લડવા માટે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, અને કોઈપણ પ્રકારના આરોપ હોય પરંતુ વ્યક્તિએ ચૂંટણી લડવાનો અધિકાર છે, અને તે અનુસાર તેઓને ઉમેદવારી પત્ર ભરવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.
જે રજૂઆત માન્ય રખાઇ છે, અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં અને રિમાન્ડ પર છે, દરમિયાન પોલીસે તેને પોલીસ ઝાપતા હેઠળ નિર્ધારિત સરકારી કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવા માટે લઈ જવાનો આદેશ કરાયો છે.
આ નિર્ણય રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં આરોપી હોવા છતાં કોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા મર્યાદિત છૂટ આપવામાં આવી છે.
કોર્ટના આદેશ મુજબ સુરક્ષા વ્યવસ્થા હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.