મહુવામાં સિંહે યુવકને દબોચી ઝાડીમાં ઢસડીને લઈ ગયો, ફાડી ખાતા માત્ર માથું જ મળ્યું, પંથકમાં ફફડાટ વ્યાપી ગયો

  • June 17, 2026 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના અમરેલી અને આસપાસના સિંહોના વિચરણવાળા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હજુ એક દિવસ પહેલા જ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં એક નિર્દોષ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં વનરાજે ફરી એકવાર લોહી વહાવ્યું છે. આવી જ બીજી એક ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સામે આવી છે. જ્યાં મહુવા નજીક એક શ્રમિક યુવકને સિંહે પોતાનો શિકાર બનાવી ફાડી ખાધો છે. અમરેલીની ઘટનાની જેમ જ મહુવાની આ ઘટનામાં પણ વનવિભાગ અને ગ્રામજનોને સર્ચ ઓપરેશન દરમિયાન યુવકનું માત્ર માથું અને શરીરના થોડા અવશેષો જ હાથ લાગ્યા છે.


ઘર તરફ પરત ફરી રહેલા યુવક પર ત્રાટક્યો કાળ

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના મહુવા નજીક આવેલા પીંગલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના માર્ગ પર ગઢડા ગામના વતની ૩૪ વર્ષીય યુવાન નાગજી પ્રેમજીભાઈ ગુજરીયા પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. નાગજીભાઈ વ્યવસાયે શ્રમિક હતા અને ગઈ રાત્રિના સમયે પોતાનું મજૂરી કામ પૂર્ણ કરીને પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પીંગલેશ્વર મહાદેવ નજીક અંધારામાં અચાનક એક સિંહે તેમના પર હિંસક હુમલો કર્યો હતો. સિંહ યુવકને દબોચીને ઘસડીને જંગલની ગીચ ઝાડીઓ તરફ ખેંચી ગયો હતો. આ અણધારી ઘટનાને પગલે સમગ્ર મહુવા પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે.


બાવળની ગીચ ઝાડીઓમાંથી મળ્યા માત્ર અવશેષો

આ કમકમાટીભરી ઘટનાની જાણ થતાં જ ગઢડા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ માટે વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી રાત્રિના સમયે જ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી શોધખોળ બાદ બાવળની અત્યંત ગીચ ઝાડીઓમાંથી મૃતક યુવકના ફાટેલા કપડાં અને લોહીલુહાણ હાલતમાં માત્ર માથું તેમજ શરીરના અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા હતા. સિંહે યુવકના બાકીના શરીરના ભાગોને ફાડી ખાધા હોવાનું દ્રશ્ય સામે આવતા જ ગ્રામજનોમાં ઘેરા શોકની સાથે સાથે વન વિભાગ સામે ભારે આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી.


વન વિભાગ સામે સ્થાનિકોનો આક્રોશ અને પાંજરે પૂરવાની માંગ

સૌરાષ્ટ્રના આ દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની વસ્તી અને તેમનું વિચરણ સતત વધી રહ્યું છે, જેની સામે હવે માનવ-વન્યજીવ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. ટૂંકા ગાળામાં જ બનેલી આ બે સમાન પ્રકારની ઘટનાઓએ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. સિંહો હવે માનવભક્ષી બની રહ્યા હોય તેવી ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે. હાલમાં વન વિભાગ દ્વારા મૃતક યુવકના અવશેષોને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાકીદે આ નરભક્ષી સિંહને પાંજરે પૂરીને અન્યત્ર ખસેડવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application