ભાણવડના ભરતપુરમાં શોકમગ્ન પરિવાર વચ્ચે મધરાતે નીકળ્યો મહાકાય અજગર
સ્નેહીજનોમાં મચી દોડધામ: રેસ્કયુઅર અશોકભાઈ ભટ્ટની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યુ
ભાણવડના બરડા વિસ્તારમાં અવાર નવાર જંગલી પશુઓ તેમજ સર્પ અને અજગર જેવા પ્રાણીઓનું ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી જતા હોય છે. ત્યારે ભાણવડની એનીમલ લવર્સ તેમજ વન રક્ષકો દ્વારા રેસ્કયુ કરી બરડા ડુંગરમાં મુકત કરવામાં આવે છે. ત્યારે ગત રાત્રે જ ભાણવડના ભરતપુર ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસ પહેલા એક મરણનો બનાવ બન્યો હતો ત્યારે તે ગામમાં સ્નેહીજનોની ભીડ વચ્ચે અચાનક એક મહાકાય અજગર જોવા મળતા લોકોમાં દોડધામ મચી હતી ત્યારબાદ રેસ્કયુઅરને જાણ કરાતા અજગરને સુરક્ષિત પકડીને જંગલમાં મુકત કરાયો હતો.
ભાણવડ તાલુકાના ભરતપુર ગામ નજીક આવેલી એક વાડીમાં રાત્રિના સમયે એક અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને, અહીં થોડા દિવસો પહેલા એક મરણ પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો અને સંબંધીઓની હાજરી વધુ હતી, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
આ સમયે વાડી માલિકે તુરંત રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. ટીમ પહોંચે તે પહેલા અજગર રહેણાંક મકાન પાસેના વૃક્ષ પર ચડી ગયો હતો. અશોકભાઈ ભટ્ટ અને વિજયભાઈ ખૂંટીએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ કામગીરીમાં મેરામણભાઇ ભરવાડ અને અક્ષય સૂચક પણ જોડાયા હતા. રેસ્ક્યુ બાદ આ અજગરને તેના કુદરતી આવાસ બરડા ડુંગરમાં સલામત રીતે મુક્ત કરવામાં આવતા વાડી માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.