જામનગર : ખરેડી ગામમાં ૧૫ દિવસની બાળકીનું તાવની બિમારીથી મોત
ધુળશીયાના પટેલ પરિવારમાં શોકની લાગણી
કાલાવડના ખરેડી ગામમાં તાવની બિમારીમાં સપડાયેલ ૧૫ દિવસની એક બાળકી અચાનક બેભાન થઇ ગયા બાદ મોતને ભેટતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગેની વિગતો જાહેર થતા પોલીસ દ્વારા પીએમ સહિતની કાર્યવાહી કરાવવામાં આવી હતી.
જામનગર તાલુકાના ધુળશીયા ગામમાં રહેતા મેહુલભાઇ જેન્તીભાઇ સિખલીયાની ૧૫ દિવસની પુત્રી પ્રાન્વીને તાવ આવતો હોય જે બિમારીના કારણે બાળકી અચાનક બેભાન થઇ જતા તબિયત લથડતા સારવારમાં લઇ જવામાં આવી હતી જયાં તેણીનું મૃત્યુ થયુ હતું આથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
મૃતક બાળાના પિતા મેહુલભાઇ ખાનગીમાં નોકરી કરે છે, ગત તા. ૧૬ના વહેલી સવારે ખરેડી ગામે જાહેર કરનારના સસરાના ઘરે બાળકીની તબિયત લથડી હોવાનું ગ્રામ્ય પોલીસમાં જાહેર કરાયું છે, તાવ બિમારી સબબ બાળાના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી દરમ્યાનમાં ચોકકસ કારણ જાણવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ચુકી છે. તાવ, ઝાડા ઉલ્ટીના કેસો વધવાના શરૂ થઇ ગયા છે. ત્યારે કાલાવડ તાલુકાના ખરેડીમાં માત્ર ૧૫ દિવસની બાળકીને સારવાર દરમ્યાન તરત જ તેણીનું મોત થયુ હતું. આ અંગે તપાસ પણ શરૂ થઇ છે. પરંતુ ખરેડી અને તેની આજુબાજુના વિસ્તારમાં સામાન્ય તાવ અને શરદી, ઉધરસના કેસો વધતા જાય છે. તે હકીકત છે. સરકારી દવાખાનામાં લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને સતત પાણી પીતા રહેવું, ખેતરોમાં થોડો સમય કામ કર્યા બાદ આરામ કરવો અને જરૂર ન હોય તો બપોરે ૧૨ થી ૪ દરમ્યાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં જ માત્ર ૧૫ દિવસની બાળકીનું તાવને કારણે મૃત્યુ થયુ છે.