ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ રમણીકભાઇ અકબરીના પદગ્રહણ સમારોહમાં ખાસ ઉપસ્થિતિ: સાંજે ચેમ્બર હોલ ખાતે યોજાશે કાર્યક્રમ: પોરબંદર અને રાજકોટમાં પણ આગામી બે દિવસ કાર્યક્રમ: જામનગરના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમની વિશેષ હાજરી
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા આજથી બે દિવસ સૌરાષ્ટ્રના મહેમાન બનશે અને જામનગર-પોરબંદર તેમજ રાજકોટમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે, આજે સાંજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે, જ્યારે આવતીકાલે પોરબંદર અને રાજકોટ ખાતે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે.
વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરતી જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજાનો કાર્યકાળ પૂરો થતાં પ્રમુખ પદનો તાજ જાણીતા ઉદ્યોગપતિ રમણીકભાઇ અકબરીને પહેરાવવામાં આવ્યો છે અને હવે નિયત ટર્મમાં તેઓ વેપારી, ઉદ્યોગપતિઓનું સુકાન સંભાળશે, છેલ્લા કેટલાક દિવસથી એમના પદગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી અને જાહેર થયા મુજબ આજે સાંજે પ કલાકે સુભાષ બ્રીજ પાસે આવેલ ધીભાઇ અંબાણી વાણિજ્ય ભવન ખાતે ચેમ્બરના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાશે.
આ કાર્યક્રમમાં જ ખાસ હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા બપોર બાદ જામનગર આવશે અને ચેમ્બર ખાતે ઉપસ્થિત રહેશે, આ તકે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ તેમજ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે.
આજના કાર્યક્રમમાં પદગ્રહણ સમારોહ બાદ કેન્દ્રીય મંત્રી જામનગરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વેપારની વર્તમાન સ્થિતિ તેમજ ઉપલબ્ધ વિપુલ તકો વિશે ખાસ ગોષ્ઠી કરવાના છે, કેન્દ્ર સરકાર તરફથી વેપાર અને ઉદ્યોગ માટે જે મોકળું મેદાન અપાયું છે અને જે સવલતો ઉભી કરવામાં આવી છે તેના ઉપર પણ મનસુખભાઇ માંડવીયા વિશેષ પ્રકાશ પાડશે.
આવતીકાલે સવારે ૧૦ વાગ્યે પોરબંદર ખાતે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં મનસુખભાઇ વિશેષ હાજરી આપવાના છે અને કાલે સાંજે જ ૪ વાગ્યે રાજકોટના ખંઢેરી ખાતે આવેલ નિરંજન શાહ સ્ટેડીયમમાં આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદ્દઘાટન પણ કરશે.
કેન્દ્રીય મંત્રીના આગમનને લઇને જામનગરના વેપારીઓ અને ઉદ્યોગપતિમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.