લારી-ગલ્લા મુદ્દે શાસક-વિપક્ષે આગ ઓકી ધમકીભર્યા ઉચ્ચારણોથી સભા તોફાની બની

  • May 31, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મ્યુ. તંત્રએ દબાણો હટાવીને સિઝનલ ધંધાની મંજુરી આપી, મળતિયાઓને પ્રથમ પસંદગી : વિપક્ષનો રોષ



ભાવનગરમાં જયારથી સ્ટ્રીટ વેન્ડર ઝોનનો અમલ કરવા મ્યુ. તંત્ર મથામણ કરી રહ્યું છે. ત્યારથી સાધારણ સભામાં લારી - ગલ્લાના મામલે તોફાની બની રહી છે. આજે ફરી લારી - ગલ્લા મામલે દેકારો થયો હતો, એટલુ જ નહીં પણ શાસક વિપક્ષ સભ્યોએ ધમકીભર્યા ઉચ્ચારણો કરતા સભાગૃહમાં દેકારો બોલ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, મ્યુ. તંત્ર સૌ પ્રથમ રોડ, સકંલો પરથી લારી - ગલ્લાના દબાણો હટાવે છે. પછી ત્યા સિઝનલ ધંધા માટે મંજુરી આપે છે. જે ધંધાર્થીઓ રોડ પર ધંધો કરતા હોવાથી ગમે ત્યારે મોટા અકસ્માતો સર્જાવાની દહેશત છે. જે તે લોકેશનોમાં પણ મળતિયાઓને પ્રથમ પસંદગી આપવામાં આવતી હોવાનુ તેમજ હેતુફેર ધંધો કરવામાં આવી રહ્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભા મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સર્વાનુમત્તે ૯ કાર્યોની ચર્ચા વિચારણાના અંતે બહાલી આપવામાં આવી હતી. સભા દરમિયાન લારી-ગલ્લાના મુદ્દે
ભરતભાઈ બુપેલિયાએ સવાલ ઉઠાવ્યો હતો કે, થોથા સર્કલ, સરદારનગર સર્કલ, રૂપાણી, મહિલા કોલેજ સહિતમાં રોડ પર સિઝનલ ધંધાર્થીઓ ધંધો કરે છે, જેના લીધે ગમે ત્યારે હીટ એન્ડ રન જેવી ઘટનામાં જીવલેણ બનાવો ઘટશે, એ સમયે તેના જવાબદાર કોણ થશે? તેવો સવાલ ઉઠાવ્યો હતો. જોકે, સિઝનલ ધંધાની મંજુરીમાં સર્કલો ફરતે ધંધાની વાત આવતા શાસક સભ્ય કુમાર શાહએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો, અને સિઝનલ ધંધાની વ્યાખ્યામાં લારી - ગલ્લા આવતા ન હોવાનુ કહ્યું હતુ.
દરમિયાનમાં કમિશનર એન.કે. મિનાએ સ્થળ તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. વિપક્ષ સભ્ય કાંતિભાઈ ગોહીલએ કહ્યુ હતુ કે, ચોરીના બનાવ બાદ બેન્કે તેના દરવાજાની આસપાસ લારી - ગલ્લાને ઉભા ન રહેવા દેવાનુ કહેવા છતા મ્યુ. તંત્ર ચિસોડાની મંજુરી આપી હોવાનું તેમજ સિઝનલ ધંધાની મંજુરી બાદ સમયાંતરે સ્થળ તપાસ કરવા માંગણી કરી હતી. ચિસોડાની મંજુરી લઈને સોડા મશીન મુકાતા હોવાનું તેઓએ કહ્યુ હતુ.શાસક સભ્ય પંકજસિંહ ગોહિલએ વિપક્ષ સામે શાબ્દીક બાણ તાક્યુ હતુ કે, શહેરમાં ઘણા એવા રચનાત્મક કામો છે, તેની ચર્ચા કરવાના બદલે વિપક્ષની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. વેપારીઓને ધંધાની તક આપી છે, તે છીનવી લેવાના વિપક્ષ પ્રયાસો કરે છે. વિપક્ષ ડામાડોળ હોવાનો કંટાક્ષ કરતા જ વિપક્ષ સભ્યો ઉકળી ગયા હતા અને શિખામણી નહીં આપવાનુ કહીે આમા વિપક્ષની કોઈ ભૂમિકા નહીં હોવાનુ વિપક્ષ નેતા જીતુભાઈ સોલંકીએ કહ્યું હતુ.શાસક વિપક્ષના વાકૃબાણથી ઉગ વાતાવરણ સર્જાયુ હતુ. એક તબ્બકે વિપક્ષ નેતાએ કહ્યું હતુ કે અમને પણ બધુય આવડે જ છે", તો શાસક સભ્યો ઉકળી ઉઠયા હતા અને કુમાર શાહએ ધમકી નહીં આપવા, બધાને બપુ ફાવતુ જ હોવાનું કહ્યુ હતુ. તો શાસક સભ્ય રાજુ પંડયાએ તો ત્યા સુધી કહ્યુ હતુ કે, તો થાય ઈ કરી લેવાનુ".સમગ્ર સાધારણ સભામાં લારી ગલ્લા મામલે ઉચતા જોવા મળી હતી. જોકે અધ્યક્ષ સ્થાનેથી મેયર ભરતભાઈ એવી ટકોર કરી હતી કે, વિપક્ષ સભ્ય
ભરતભાઈ સહકાર આપે તો રામમંત્ર મંદિરની સામે વેન્ડર ઝોન ડેવલપ થઈ શકે તેમ છે. તો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જન્મ મરણના દાખલા મામલે આગામી સમયમાં હેલ્થ સેન્ટરોમાં સુવિધા ઉભી કરવાનુ કહેતા ભરતભાઈએ અભિનંદન આપીને ૧૪ વર્ષથી અધુરા રિંગ રોડને પુરો કરવા કટાંક્ષ કર્યો હતો.વ્યવસાય વેરો વસુલ કરવા અગાઉની સાધારણ સભામાં અનેક વખત ચર્ચાઓ થવા છતા મ્યુ. તંત્ર કોઈ પરિણામ જનક કાર્યવાહી કરતુ નહીં હોવાનુ વિપક્ષ સભ્યએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, મોટી શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો, ફેકટરીઓ પાસેથી તંત્ર સર્વે કરીને વેરો વસુલ કરે તો આવકમાં વધારો થાય તેમ છે. છતા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. સભાના અંતમાં વિપક્ષે વધારાનુ કાર્ય રાવળા હક્ક, પાટીના કારખાનાના વેરા માફીનુ કાર્ય મૂક્યું હતું. પરંતુ હાલની સભાને લાગુ પડતી નહીં હોવાનુ જણાવીને અધ્યક્ષ સ્થાનેથી સભા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application