જામનગરમાં નુરી ચોકડી પાસે રંગમતી નદી કચરાથી ખદબદી રહી છે, જેના કારણે અસહ્ય દુર્ગંધથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે, આ ગંભીર સ્થિતિમાં નદીના પટ્ટમાં મોટા ઉપાડે દબાણ દુર કરતી મનપાના સતાધીશો અને અધિકારીઓને કચરાના ગંજ દેખાતા નથી કે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ?
તે સવાલ લોકોમાં જોરશોરથી ઉઠયો છે, આટલું જ નહીં પ્રિ-મોનસુન કામગીરીમાં નદીની સફાઇનો સમાવેશ થતો નથી ? તે તપાસનો વિષય બન્યો છે, નદીમાં ગંદકીથી દુર્ગંધ તેમજ મચ્છરોના ઉપદ્રવને કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે, આટલું જ નહીં નદીમાં પારાવાર ગંદકીથી જન આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે.
ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે રંગમતી નદી પહોળી કરવાના કામ અંતર્ગત મહાપાલીકા દ્વારા મોટા ઉપાડે નદીના પટ્ટમાં ખડકાયેલા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ નુરી ચોકડી પાસે રંગમતી નદી કચરાથી ખદબદી રહી છે, ત્યારે નદીમાં વિપુલ પ્રમાણમાં રહેલી ગંદકી દબાણ દુર કરતી મહાનગરપાલીકાને કેમ દેખાતી નથી ? તે સવાલ શહેરીજનોમાં ઉઠયો છે. નદીમાં ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે, આથી આ સ્થળેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
બીજી બાજુ નદીમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી હોય મચ્છરોનો ઉપદ્રવ વધતા અને દુર્ગંધની સમસ્યાના કારણે આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને હિજરત જેવી સ્થિતિ સર્જાઇ છે. મનપા દ્વારા લાખોના ખર્ચે પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામગીરીમાં રંગમતી નદીની સફાઇનો સમાવેશ થતો નથી ? તે સવાલ પણ શહેરીજનોમાં ઉઠયો છે.