રાજ્યમાં અંગ દઝાડતી ગરમી: મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર, રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન

  • April 27, 2025 07:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે. આકરી ગરમીના કારણે લોકો ભારે પરેશાન છે અને આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. આજે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ અને વડોદરામાં આજે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે સુરતમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. અમરેલી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ભુજમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં આજે 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.


ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો અનુભવ થયો હતો. ઈડરમાં 42 ડિગ્રી સેલ્સિયસ અને પાલનપુરમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આટલા ઊંચા તાપમાનના કારણે લોકો દિવસ દરમિયાન ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે અને બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરી છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


હીટવેવથી બચવા આટલું કરો :-

- પુરતું પાણી પીઓ, તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું.
- શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો.
- બને તેટલું ઘરની અંદર રહો.
- વજનમાં હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
- શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું. તડકામાં ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
- આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.
- પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
- નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું 
- ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો 
- ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
- ઉપવાસ કરવાનું ટાળવું 
- મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું 
- ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
- બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
- ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
- પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ "લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.


હીટવેવ સમયે આટલું કરો :-

- શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ.
- શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ. તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો જોઈએ.
- વધુ પ્રોટીન ધરાવતો ખોરાક, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો. 
- બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.
- અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો, જે બિનજરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો.


લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણો :-

-માથું દુ:ખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો
- શરીરનું તાપમાન વધી જવું
- ખૂબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
- વધુ તાવ આવવો 
- ગરમ અને સૂકી ત્વચા 
- નાડીના ધબકારા વધવા
- ઉલ્ટી થવી, ઉબકા આવવા
- ચકકર આવવા, આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવું
- સુધ-બુધ ગુમાવી દેવી
- અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી. 


હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો.


લૂ લાગે ત્યારે વ્યક્તિની પ્રાથમિક સારવાર માટે આટલું કરો:-

- જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
- શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
- લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
- જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી


લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application