ફ્રોડ કેસમાં બિલ્ડરે છોડાવી લીધેલા અસલ દસ્તાવેજો ટ્રાયલમાં રજૂ કરવાનો આદેશ

  • April 10, 2025 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરોડોની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદના કામે મુદામાલ તરીકે કબજે લેવાયા બાદ આરોપી બિલ્ડર્સ દ્વારા છોડાવી લેવાયેલા અસલ વેચાણ દસ્તાવેજો પડધરીની ફોજદારી કોર્ટમાં ક્રિમિનલ ટ્રાયલમાં રજુ કરવા બિલ્ડર અને તેના પરિવારને સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ લંડનમાં રહેતા સંજયભાઈ દલસુખભાઈ શાહે રાજકોટના મોટાગજાના જમીન મકાનના ધંધાર્થી અને બિલ્ડર અશેષ પ્રવિણચંદ્ર માંડવીયા (હાલ રહે. જાનકી પાર્ક, રાજકોટ)ની સામે 2008ની સાલમાં પડધરી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, તેમાં ૨૦૦૧ના અરસામાં બ્રોકર બિલ્ડર અશેષ માંડવીયાએ જુદા જુદા સમયે જુદી જુદી રકમો જુદી જુદી જમીન ખરીદ કરવા માટે મેળવેલી, તે વખતે અશેશભાઈએ જમીન ખરીદી ઉપર દલાલી ઉપરાંત નફા (પ્રોફીટ)માં ભાગ નક્કી કરેલો, પરંતુ અશેષભાઈએ સંજય શાહ પાસેથી મેળવેલા નાણાંમાંથી ઈશ્વરીયા, નારણકા, છાપરા સહિતના વિસ્તારોમાંથી ખેડવાણ તેમજ બીનખેડવાણ જમીનો ખરીદ કરેલી તેમાં તેણે પોતાનો ગાળો રાખી ખરીદ કિંમત કરતાં વધુ કિંમત લઈ કુલમુખત્યાર દરજજે તેમજ દલાલ દરજજે વિશ્વાસઘાત કરી રૂા. 2.34 કરોડથી વધુ રકમની રકમનો વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ થતા તેની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને પણ આપવામાં આવેલી, તેમાં અશેષભાઈ અને તેના પરિવારજનો પાસેથી જુદી જુદી જમીનનોના દસ્તાવેજો કબજે લેવાયા હતા. જેથી આ અસલ દસ્તાવેજો જે જશવંતીબેન, હેમાબેન અને પ્રવિણભાઈના નામના હોવાથી રાજકોટની સેશન્સ અદાલતમાં તેમના દ્વારા રિવિઝન દાખલ કરેલ અને રિવિઝનના કામે કામે એવી શરત સાથે આ અસલ દસ્તાવેજો પરત આપવામાં આવેલ કે જયારે પણ ટ્રાયલના કામે ફોજદારી અદાલત આ દસ્તાવેજો પરત માંગે ત્યારે તે અદાલતમાં રજુ કરવા અને આ મુદામાલમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં.

દરમિયાન પડધરી કોર્ટમાં આ ફોજદારી કેસની ટ્રાયલ શરૂ થતાં મુળ ફરીયાદીએ આ મુદામાલ એટલે કે મિલ્કતોના પોલીસે કબજે કરેલા અસલ દસ્તાવેજો આરોપી અશેષ માંડવીયા અદાલત સમક્ષ રજુ કરે તેવી અરજી વર્ષ : ૨૦૨૪માં કરેલ અને એવી શંકા વ્યકત કરેલ કે અદાલતમાંથી મુદામાલ એટલે કે અસલ દસ્તાવેજો પરત મેળવી આ આરોપીના પરિવારજનોએ સેશન્સ અદાલતની શરતોનો ભંગ કરી આવી મિલ્કતો ત્રાહિતને ટ્રાન્સફર કરી નાખેલ છે. જેથી અસલ દસ્તાવેજો આરોપી કોર્ટ સમક્ષ રજુ કરે તેવી માંગ કરેલી. જેથી પડધરીના મેજિસ્ટ્રેટે દસ્તાવેજોની ખરી નકલ કે અસલ નકલ રજુ રાખવી તેવો હુકમ કરેલો, જે હુકમથી નારાજ થઈ ફરીયાદી અનીલભાઈ વારીયાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરેલ. અને તેમાં અગાઉ રાજકોટ સેશન્સ અદાલતે રિવિઝન મંજૂર કરી ડોકયુમેન્ટસ હેન્ડ ઓવર કરવાનો હુકમ કરેલ છે તે હુકમ પ્રમાણે ટેમ્પરરી ડોક્યુમેન્ટ હેન્ડ ઓવર કરેલ છે. તે મતલબની દલીલો ધ્યાને લઈને રાજકોટ સેશન્સ કોર્ટે

તમામ અસલ દસ્તાવેજો પડધરીની ફોજદારી અદાલતમાં રજૂ કરવાનો અશેષ માંડવીયા અને તેના પરિવારજનોને હુકમ કરેલ છે. આ કામમાં મુળ ફરીયાદી વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી અર્જુન પટેલ તથા નયનભાઈ મહેતા રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application