ઘોઘાના મોટા ખોખરાના અગ્નિવીર જવાન શહીદ, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમસંસ્કાર

  • June 09, 2025 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના જવાન જયદીપભાઈ ડાભી શનિવારે શહીદ થયા બાદ ગઈકાલે તેમના પાર્થિવદેહને ભાવનગર લવાયો હતો.અને આજે તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમસંસ્કાર કરાયા હતા.


શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજીમેન્ટમાં પોસ્ટીંગ પર હતાં

શ્રીનગર ખાતે શનિવારે શહીદ થયેલ મોટા ખોખરા ગામના જવાન જયદીપભાઈનો પાર્થિવદેહ  મોડી સાંજે  ભાવનગર લવાતા સરટી હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં  મુકાયો હતો. ઘોઘાના મોટા ખોખરા ગામના જયદિપભાઈ જીતુભાઈ ડાભી (ઉં.વ.૨૩) ગત વર્ષે ૨૫ એપ્રિલના રોજ આર્મીમાં અગ્નિવીર તરીકે દેશ સેવા માટે જોડાયા હતાં. તેઓ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજીમેન્ટમાં પોસ્ટીંગ પર હતાં. શનિવારે સવારે અગ્નિવીર જવાન શહીદ થયા હતાં જેની જાણ તેમના પરિવારજનોને થતાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. શહીદ જવાનનો પાર્થિવ દેહ હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યાંથી મોટર માર્ગે ભાવનગર લવાયો હતો. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. હિન્દુ સંસ્કૃતિ અને પરંપરામાં સૂર્યાસ્ત બાદ અગ્નિ સંસ્કાર અપાતા ન હોય મૃતદેહ સર ટી. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો. 


મૃતદેહને મોટાખોખરા ગામે લઈ જવામાં આવ્યો

જ્યાંથી આજે સોમવારે સવારે જવાનના મૃતદેહને મોટાખોખરા ગામે લઈ જવામાં આવ્યો હતો. અને જવાનનો મૃતદેહ ગામમાં પહોંચતા જ ભારે ગમગીની ફેલાઈ હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના જીતુભાઈ વેલજીભાઈ ડાભીના મોટા પુત્ર જયદીપભાઇ ડાભી કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને ફરજ બજાવતા શહીદ થયા હતા. 


પાર્થિવ દેહને રવિવારે વિમાન માર્ગે પહેલા અમદાવાદ લેવાયો

તેમના પાર્થિવ દેહને રવિવારે વિમાન માર્ગે પહેલા અમદાવાદ લેવાયા બાદ સાંજે રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવ્યો હતો. તેમનો પાર્થિવ દેહ ગામમાં પહોંચતા જ ભારત માતા કી જય અને શહીદ જવાન જયદીપભાઈ અમર રહોના નારા લાગ્યા હતા.તો શહીદ જવાનના પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો. પાર્થિવ દેહને કલેકટર સહિત ઉપસ્થિતિતોએ જયદીપભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.બાદમાં અંતિમ યાત્રામાં મોટાખોખરા સહિત આજુબાજુના ગ્રામજનો જોડાયા હતા.


એર ફિલ્ડ પર શનિવારે કોમા ગનનો ગોળીબાર સંભળાયો

ગમગીનભર્યા વાતાવરણમાં શહીદ જવાન જયદીપભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે તમામની આંખો ભીંજાઈ હતી. ભારે ગમગીની છવાઈ હતી.આ પૂર્વે શહીદ જવાન જયદીપભાઈને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, શ્રીનગર ખાતેના કોમા એર ફિલ્ડ ખાતે પોસ્ટ નંબર ૩૬ ઓલ્ડ એર ફિલ્ડ પર શનિવારે કોમા ગનનો ગોળીબાર સંભળાયો જ્યારે ચકાસણી દરમ્યાન જયદીપભાઈ જીતુભાઈ પોસ્ટની દિવાલ પર લોહીના નિશાન સાથે બેભાન હાલતમાં હાલતે મળી આવ્યા હતા. અને તેઓને જયદીપભાઇને સારવાર માટે ખસેડાયા હતા. 


વીર શહિદ જયદિપભાઈ ડાભી ને શ્રધાંજલિ અર્પણ કરતુ સરદાર યુવા મંડળ 

તાજેતરમાં જમ્મુ કાશ્મીર ના શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજીમેનટ મા પોસટીગ પર હતા શનિવારે સવારે શહિદ થયા ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામ ના વીર શહિદ જવાન જયદીપભાઇ ડાભી ને સરદાર યુવા મંડળ ભાવનગર ના પ્રમુખ ભરત મોણપરા,મનીષ પરમાર, કાનજી બાંભણિયા,ભરત મકવાણા. અશોક પંડ્યા,જીવરાજ કંટારીયા, અશોક મકવાણા. યોગેશ દિયોરા એ શ્રધાંજલિ અર્પણ કરી હતી.


મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી

ભાવનગર જિલ્લાનાં મોટા ખોખરાનાં વતની રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થશે. કાશ્મીરનાં શ્રીનગરમાં ફરજમાં રહેલ ભાવનગર જિલ્લાનાં ઘોઘા પાસેનાં મોટા ખોખરાનાં વતની  જયદીપભાઈ ડાભી અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં સેવા બજાવતી વેળાએ પ્રાણ ગુમાવ્યાં છે. રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર આ અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવી છે અને પરિવારજનોને દુ:ખની સ્થિતિમાં સાંત્વના માટે પ્રાર્થના કરી છે.  ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થશે. તેમ જયદેવભાઈ માંકડે  જણાવાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application