કાલાવડની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કરેલા દુષ્કૃત્ય બદલ આરોપીને અદાલતે ૧૦ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે સને ૨૦૨૩ની સાલમાં કાલાવડ ગામમાં રહેતા એક પરીવારની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કાલાવડ ગામના જ આરોપી રાજેશ વલ્લભ રાઠોડે મધરાત્રે આ મહીલાના ઘરની વંડી ટપીને ઘરમાં ગેરકાયદેસર ઘુસી મહીલા ઉપર દુષ્કૃત્ય આચર્યું હતું.
આ બાબતની ફરીયાદ મહિલાના પિતાએ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ કાલાવડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરીને જામનગરની સ્પે. પોકસો અદાલતમા રજુ કર્યું હતું.
ત્યારબાદ આ કેસ બોર્ડ ઉપર ચાલવા ઉપર આવતાં સરકારી વકીલે આ કેસમાં અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓ અદાલતમાં રજુ કર્યા હતા, તેમજ આ કેસના સાક્ષીઓ તપાસ્યા હતા. ત્યારબાદ ભોગ બનનાર ઉપર દુષ્કૃત્ય કરનાર આરોપીને ફરીયાદી તથા તેમના પત્નીએ મધરાત્રે મહીલાની બુમાબુમ સંભળતાં જાગીને મહીલા પાસે જતાં આરોપી અર્ધનગ્ન અવસ્થામાં હોય, તેને ઝડપી પાડયો હતો, અને પોલીસને બોલાવી આરોપીને સોંપી દીધો હતો. અને તે અંગેના મૌખિક પુરાવા અદાલત સમક્ષ રજુ કર્યા હતા.
આ કામના આરોપીના વકીલ તથા સરકારી વકીલની દલીલો સાંભળીને આરોપીને આઈ.પી.સી. ૩૭૬ (૨) (એલ) નીચે ૧૦ વર્ષની સખત કેદ તથા રૂા. ૧૫,૦૦૦ નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની જેલ સજા અને આઈ.પી.સી. ક. ૪૫૦ હેઠળ પાંચ વર્ષની સખત કેદ તેમજ ૫,૦૦૦ નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની જેલ સજાનો હુકમ જામનગરની સ્પે. પોકસો અદાલતના જસ્ટીસ આર.પી.મોગરા દ્વારા જાહેર કરાયો છે. આ કેસમાં સરકાર તરફે જામનગરના સિનીયર સરકારી વકીલ મુકેશકુમાર જાની રોકાયા હતા.