મહાશિવરાત્રિએ મહાદેવને સવા કિલો સોનાના દાગીનાનો શણગાર, પોરબંદરના આ શિવ મંદિરમાં 100 વર્ષથી ચાલતી પરંપરા, જાણો ઇતિહાસ

  • February 26, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં આજે મહાશિવરાત્રિના મહાપર્વે ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોનાના દાગીના ચડાવવામાં આવ્યા છે. ૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવતી પરંપરા અંતર્ગત થનારા દર્શનનો લાભ લેવા અપીલ થઇ છે. પોરબંદરમાં આજે મહાશિવરાત્રિના દિવસે શિવમંદિરો ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે. ઉપરાંત શિવજીને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે શહેર મધ્યે આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવ મંદિ ખાતે દર વર્ષની પરંપરા મુજબ શિવજીને સવા કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યો છે.


મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઇ જોશીએ જણાવ્યું હતું કે, આ રીતે દાગીના ચડાવવાની પરંપરા સ્ટેટના સમયથી ચાલી આવે છે. અગાઉ મહારાજા વિક્રમાતસિંહજી (ભોજરાજસિંહજી)એ આ મંદિરે ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સોનાનો કળશ, બીલીપત્ર, પગના ઝાંઝર, બંગડી, મુગટ અને ચાંદીના છત્ર સહિત સવા કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રિના તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શિવજીને ચડાવવામાં આવતા હતા. તેમના પિતાના દાદા અંબાશંકર હરજીવન ત્યારે આ મંદિરના પૂજારી હતા. ત્યારબાદ સુરક્ષાના કારણોસર એકમાત્ર મહાશિવરાત્રીના દિવસે જ ચડાવવામાં આવે છે.


એક દિવસ માટે પોલીસ રક્ષણ સાથે દાગીના લાવી શણગાર
આ દાગીના સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે અને એક દિવસ માટે પોલીસ રક્ષણ સાથે મંદિર ખાતે લાવી શણગાર કરાય છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. દિવસભર હજારો શિવભક્તો આ દર્શનનો લાભ લે છે અને બીજા દિવસે ફરીથી ઘરેણા સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં મુકવામાં આવે છે. બપોરે ૧ વાગ્યાથી શણગાર ચડાવવામાં આવ્યા છે. જે દર્શનનો લાભ ભક્તો સાંજે ૫ થી રાત્રે ૧૨ સુધી લઇ શકશે અને રાત્રે ૮ વાગ્યે આરતી તથા ૧૨ વાગ્યે મહાઆરતી યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application