હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે જે ટ્રફના સ્વરૂપે સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ પર આવેલું છે. આ સાથે જ ઉત્તર ગુજરાતથી એક ટ્રફ લાઇન 5.8 કિલોમીટર ઉપર સુધી વિસ્તરીને પશ્ચિમ અરબી સમુદ્ર તરફ ગઈ છે. આ સિસ્ટમના પ્રભાવને લીધે આગામી સાત દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજનના છૂટાછવાયા સ્થળો પર હળવો કે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે ગુજરાત રીજનમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત આણંદ, છોટાઉદેપુર અને અમદાવાદ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વરસાદની સાથે વાવાઝોડાની સ્થિતિ પણ જોવા મળી શકે છે. પ્રથમ દિવસે કેટલાક સ્થળોએ 40થી 50ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તેમજ દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તાપમાનની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ વિશેષ ફેરફાર થયો નથી અને આગામી સાત દિવસમાં પણ કોઈ મોટા બદલાવની શક્યતા નથી.
24 અને 25 જૂન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રેશર ગ્રેડિયન્ટને કારણે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની આશંકા છે. ચોથા અને પાંચમા (24 અને 25 જૂન) દિવસે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે, જેની ગતિ 45થી 55 કિમી પ્રતિ કલાકની અને પવનના ઝાપટાંની ઝડપ 65 કિમી સુધી પહોંચી શકે તેમ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.