ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને કારણે રાજય સરકારનાં અલગ અલગ વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે રાજયનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના સચિવ, તમામ અધિકારીઓ સહિત તમામ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાઇને સમગ્ર સ્થિતિની વિગતવાર ચર્ચા કરી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં આરોગ્યસેવા અને સુવિધાઓ સંલગ્ન સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. તેમણે કહ્યું હતું કે જિલ્લાઓમાં ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઇ, જમીની અને હવાઇ સીમાથી જોડાયેલ સરહદી જિલ્લાઓમાં કટોકટી સમયે જરૂરી આરોગ્ય સેવા-સુવિધાઓની સમીક્ષા કરી હતી.
મંત્રીએ આ તમામ જિલ્લાઓમાં દવાના જથ્થા, બેડની , આઇ.સી.યુ.ની સુવિધાઓ, બ્લડની જરૂરિયાત સંદર્ભેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવીને જરી સૂચનાઓ આપી હતી.
કટોકટીની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગની સજ્જતા અને પૂર્વતૈયારી સંદર્ભે મંત્રીએ વિશેષ માર્ગદર્શન અને સૂચના આપીને આ તમામ કામગીરી સુનિશ્ચિત કરવા માટેના દિશા નિર્દેશ કર્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, કમિશ્નર રતનકવરજી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.