જામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ

  • April 07, 2025 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્દિરા કોલોની વિસ્તારમાં માસુમ પુત્ર સાથે માતા લાપત્તા : ખાનગી બેન્કનો કર્મચારી તથા જસાપર ગામમાંથી એક શ્રમિક યુવાન ગુમ થતા પોલીસની તપાસ

જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલોની શેરી નં. પમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની ૩૦ વર્ષની પરણીતા ઘેરથી પોતાના ચાર વર્ષના પુત્ર ધાર્મિકને સાથે રાખીને એકાએક ક્યાંક ચાલી ગઈ હતી.

જેથી પરિવારજનો દ્વારા તેના સગા સંબંધી સહિત અનેક સ્થળોએ તપાસ કરાવાઈ હતી, પરંતુ મનિષાબેન ના કોઈ પતો સાંપડ્યો ન હતો, જેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી, અને મનીષાબેનના પતિ સુરેશભાઈ ખીમસુરીયા એ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત જામનગરમાં તિરુપતિ સોસાયટી, પુષ્પક પાર્ક શેરી નં.૨માં રહેતા અને જામનગરની આઈસીઆઈસીઆઈ બેંકમાં નોકરી કરતા નિતેશભાઇ કાંતિલાલ પટેલ ગઈકાલે પોતાના ઘેરથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા પછી આજ સુધી તેનો કોઈ પતો સાંપડ્યો નથી, તેથી આખરે ગુમ થયાની પરિવારજનો દ્વારા જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે.

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રકાશ અમરશીભાઈ સોલંકી (ઉ.વ.૩૭)પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો હતો, અને બે દિવસની શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો નહીં સાંપડતાં કેતનભાઇ સોલંકી દ્વારા કાલાવડ ટાઉન પોલીસમાં ગુમ નોંધ કરાવાઈ છે. ઉપરોકત ગુમ થનાર વ્યકિતઓની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application