વર્ષ ૨૦૧૮ માં બંગાળી બાળકની નિર્મમ હત્યા કરનાર બંગાળી ઠેકેદાર આરોપીના નાર્કો ટેસ્ટને મંજૂરી કોર્ટ દ્વારા આપવામાં આવી છે. જ્યારે પોલિગ્રાફ સહિતના વધુ બે ટેસ્ટ માટે કોર્ટ પાસે ક્રાઇમ બ્રાંચ દ્વારા મંજૂરી માંગવામાં આવી છે.
વર્ષ ૨૦૧૮ માં રાજકોટમાં આજી નદીના પટમાંથી બાળકનું ઘડ વગરનું માથું મળી આવ્યું હતું. આ પડકારજનક બનાવનો જે તે સમયે ભેદ ઉકેલાયો ન હતો. દરમિયાન રાજકોટમાં ગોપાલ રેસીડેન્સીમાં બાળ મજુરોને મુકત કરાવાયા બાદ આ બનાવને લઇ પોલીસને મહત્વની કડી મળી હતી. જે દિશામાં તપાસ કરી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આઠ વર્ષ જુના ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી અજીતમૌલા આજમતમૌલા (ઉ.વ.૪૦) ની ધરપકડ કરી ૧૦ દિવસના રિમાન્ડ પર લીધો હતો. આરોપી અજીતમૌલાની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ સી. બી.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી તુરંત રિકન્ટ્રકશન કરાવાયું હતું.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં પાસે મંજૂરી માંગતા કોર્ટે નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી હતી. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે પોલીગ્રાફ ટેસ્ટ સહિત બે ટેસ્ટની માંગણી કરી કોર્ટ પાસે મંજૂરી માંગી હતી જે મંજૂરી મળ્યા બાદ નાર્કોટેસ્ટ, પોલીગ્રાફ સહિતના ત્રણે ટેસ્ટ આરોપીના કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય ટેસ્ટ મારફતે જાણી શકાશે કે, આરોપીએ અન્ય કોઈ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરી છે કે કેમ? કોઈ અન્ય બાળકો સાથે પણ અમાનવીય વ્યવહાર કર્યો છે. તેમજ તેમની સાથે તેમને મદદ કરવામાં કોઈ શખસનીસંડોવણી છે કે નહીં સહિતના મુદ્દા પર તપાસ કરવામાં આવશે.