ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ફરી એકવાર ભક્તિ અને માનવસેવાના અદભૂત સંગમનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અંબાણી પરિવારે જીવદયા અને ગૌ-સેવા માટે એક અત્યંત પ્રશંસનીય અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં અંબાણી પરિવારે ગૌ-સેવા અર્થે રૂ. 10 કરોડની માતબર રકમનું દાન અર્પણ કર્યું છે.
આ સેવા પ્રોજેક્ટ અંતર્ગત સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં ભારતની સૌથી અત્યાધુનિક અને હાઈટેક ગૌશાળાનું નિર્માણ કાર્ય વેગવંતું બન્યું છે. આ ગૌશાળાની સૌથી મોટી વિશેષતા તેની ટેકનોલોજી છે. અહીં સ્વીડનની 130 વર્ષ જૂની અને વિશ્વવિખ્યાત કંપની 'ડીલાવલ'ની આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અંદાજે રૂ. 15 કરોડના કુલ ખર્ચે તૈયાર થનારી આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક સુવિધાઓ, આરોગ્ય સંભાળ અને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે.
આ ભગીરથ કાર્યમાં અંબાણી પરિવાર 'મુખ્ય યજમાન' તરીકે જોડાયો છે. અંબાણી પરિવારે આ સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી સંભાળી છે અને આ વિશેષ સેવામાં અન્ય કોઈ પણ દાતાનો આર્થિક સહયોગ લેવામાં આવશે નહીં, જે તેમની ગૌ-ભક્તિની અનન્ય મિસાલ રજૂ કરે છે.
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિને હૃદયપૂર્વક બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારમાં જે સનાતન સંસ્કારો અને ગૌ-સેવા પ્રત્યેનો સમર્પણ ભાવ જોવા મળે છે તે ખરેખર વંદનીય છે. પૂજ્ય કોકિલાબા, મુકેશભાઈ અને નીતાબેન સહિતના સમગ્ર પરિવારની આ પહેલ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.
સાળંગપુર ખાતે નિર્માણ પામી રહેલી આ હાઈટેક ગૌશાળા માત્ર એક ભૌતિક ઈમારત બનીને નહીં રહે, પરંતુ તે પશુ કલ્યાણ અને અદ્યતન ટેકનોલોજીના સમન્વયનું એક 'અવિસ્મરણીય સંભારણું' બની રહેશે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના પશુપાલન ક્ષેત્રને એક નવી દિશા મળશે અને હનુમાનજીના ધામમાં ગાયોની સેવાને એક નવો આયામ પ્રાપ્ત થશે.