દરેડના કારખાનેદાર સાથે જીએસટી કેસમાં ૬૦ લાખની છેતરપીંડી કર્યાની વકીલ સહિત બે સામે ફરીયાદ
એકાઉન્ટ ચાલુ કરાવવા બાબતે રકમ લઇ અંગત ઉપયોગમાં લીધી : ભારે ચકચાર
જામનગર નજીક દરેડમાં બ્રાસપાટનું કારખાનું ધરાવતા એક કારખાનેદારે પોતાનું જીએસટી એકાઉન્ટ ચાલુ કરાવી આપવાના બહાને પોતાની સાથે ૬૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા અંગે પોતાના મિત્ર અને જામનગરના એક વકીલની સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસ આ મામલે તપાસ ચલાવે છે.
લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ પટેલ પાર્ક શેરી નંબર ૧૧ માં રહેતા અને દરેડ વિસ્તારમાં કલ્પ એન્ટરપ્રાઇઝ નામનું બ્રાસપાટનું કારખાનું ધરાવતા ભાવેશભાઈ અમૃતલાલ તરાવીયા નામના કારખાનેદાર યુવાને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે જીએસટી એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને ૬૦ લાખની છેતરપિંડી કરવા અંગે પોતાના જ પરિચિત એવા જગદીશભાઈ રમેશભાઈ રામોલિયા અને જામનગરના વકીલ પ્રકાશભાઈ ધીરુભાઈ દોંગા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારીને જીએસટી વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા નોટીસ મળી હતી અને એકાઉન્ટ કે જે બંધ થઈ ગયું હતું, જેને ખોલાવવા માટે ભાવેશભાઈએ પોતાના મિત્ર જગદીશભાઈ રામોલિયા નો સંપર્ક કર્યો હતો અને તેના માધ્યમથી જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા એડવોકેટ એવા ‘આપ’ના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રકાશભાઈ ધીરુભાઈ દોગા સાથે સંપર્ક કરાવ્યો હતો, ફરીયાદીએ પ્રકાશભાઇને વકીલ તરીકે રાખેલ ત્યાર બાદ ફ્રીજ થયેલું એકાઉન્ટ ફરી ચાલુ કરાવવા માટે ૬૦ લાખ રૂપિયા અલગ અલગ માધ્યમથી વકીલને આપ્યા હતા. જે રકમ ખાતામાં જમા કરાવી ન હતી, અને પોતાના અંગત ઉપયોગમાં લઇ ઓળવી ગયા હતા. જેના કારણે કારખાનેદારનું ફરીથી જીએસટી એકાઉન્ટ સીલ થઈ ગયું હતું.
જેથી આખરે મામલો સામે આવ્યો હતો અને પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસી ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને તેઓની ટીમ વગેરે સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.