સૌરાષ્ટ્રમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% લોકો તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે

  • April 02, 2026 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% લોકો તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે
​​​​​​​

સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન અંતર્ગત નિકોટીનના વધતા સંકટ સામે જનજાગૃતિનો પ્રેરક પ્રયાસ

સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરના વધતા વ્યાપ વચ્ચે નિકોટીનની ઘાતક અસરો અને પર્યાવરણીય જોખમો અંગે ઘરે ઘરે જઈ લોકોને અપાતું વિસ્તૃત માર્ગદર્શન

સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોઢાના રોગો અને ખાસ કરીને મોઢાના કેન્સરના ચિંતાજનક રીતે વધી રહેલા દરને ધ્યાને રાખી સરકારી ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ કાર્યક્રમ અંતર્ગત નિકોટીનના સંકટ વિશે જામનગર જિલ્લાના નાગરિકોને ઘરે ઘરે જઈ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% વપરાશકર્તાઓ તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન દ્વારા ડેન્ટલ કોલેજના નિષ્ણાતો સીધા લોકોના વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે અને સમયસર નિદાન અને જાગૃતિ દ્વારા અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય તે માટે જનજાગૃતિ લાવવાનો પ્રેરક પ્રયાસ હાથ ધરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુખ્યત્વે માવો કે સોપારી સાથેના ધુમ્રપાન વગરના તંબાકુનો ઉપયોગ વધુ જોવા મળે છે, જે ‘ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ’ જેવી બીમારીઓ નોતરે છે. આ રોગમાં દર્દીનું મોઢું ખુલવાનું ઓછું થઈ જાય છે અને મસાલેદાર ખોરાક ખાતી વખતે અતિશય બળતરા થાય છે. બીજી તરફ યુવાનોમાં સિગારેટ, બીડી, હુક્કા અને ઈ-સિગારેટનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જે એટલો જ હાનિકારક છે. તંબાકુમાં રહેલું નિકોટીન સીધું મગજના રિસેપ્ટર્સ પર અસર કરી ડોપામિન જેવા ન્યુરોટ્રાન્સમીટર્સનો સ્રાવ વધારે છે, જેના કારણે વ્યક્તિને તેની આદત પડી જાય છે અને તેના અભાવમાં વિથડ્રૉલ લક્ષણો દેખાય છે.

ડેન્ટલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હાથીવાલાએ માત્ર પ્રથમ કે બીજા હાથના ધુમ્રપાન જ નહીં, પરંતુ 'થર્ડ-હેન્ડ' અને 'ફોર્થ-હેન્ડ' સ્મોકિંગના જોખમો વિશે પણ ચેતવ્યા છે, જેમાં દીવાલો, સોફા કે પાણી અને જમીનમાં ભળતા નિકોટીનના કણો બાળકો અને પર્યાવરણને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે.

તંબાકુનું સેવન માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ વિનાશક સાબિત થઈ રહ્યું છે. તેના ઉત્પાદન માટે લાખો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે અને ઈ-સિગારેટની બેટરી જેવો કચરો બાયોડિગ્રેડેબલ ન હોવાથી જળ અને જમીન પ્રદૂષિત કરે છે. વળી, તંબાકુની ખેતીમાં કામ કરતા મજૂરો પણ ‘ગ્રીન ટોબેકો સિકનેસ’ જેવી બીમારીઓનો ભોગ બને છે. આ તમામ પાસાઓને ધ્યાને રાખી ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને નિકોટીનના આ ચક્રવ્યૂહમાંથી મુક્ત કરવાનો છે. ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા જનતાને અપીલ કરાઈ છે કે કોઈપણ સ્વરૂપમાં તંબાકુનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લઈ સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application