જામનગર : જોડીયાના ગુણાતીતનગર ભાદરામાં સ્વામિનારાયણ મંદીરમાં ૧૬મો પાટોત્સવ
બીએપીએસના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહેશે: ઠેર-ઠેરથી હરીભકતો ઉમટી પડશે
જોડિયાના ગુણાતીતનગર ભાદરમાં સ્વામિનારાયણ મંદીરમાં ૧૬ મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે પંચામૃત અભિષેક, મહાપૂજા, સભા સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાશેે. પાટોત્સવમાં બીએપીએસના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહેશે. ઠેર-ઠેરથી હરીભકતો ઉમટી પડશે.
જોડિયા તાલુકામાં આવેલા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ગુણાતીતનગર (ભાદરા)ના ઐતિહાસીક સ્થાનમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્રારા પ્રતિષ્ઠીત દેવસ્વરૂપોનો ૧૬ મો પાટોત્સવ તા.૨૨-૪ના બુધવારે યોજાશે. બીએપીએસ સંસ્થાના બેનમૂન કલા-કોતરણીયુકત મંદીરના ૧૬માં પાટોત્સવ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં વૈદીક મહાપૂજા અને ષડોશોપચાર પૂજન-અભિષેક વિધિ સંપન્ન થશે. આ પ્રસંગે સવારે ૮ કલાકે ઠાકોરજીનો પંચામૃત અભિષેક, સવારે ૮.૩૦ કલાકે પાટોત્સવ મહાપૂજા અને સવારે ૧૦ કલાકે પાટોત્સવ સભા યોજાશે. આ ધર્મોત્સવમાં ભાગ લેવા સાધુ ધર્મકુંવરદાસ(કોઠારી સ્વામી) તથા સર્વે સંતમંડળે હરીભકતોને અનુરોધ કર્યો છે.