કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા પંજાબના પ્રવાસે ખડગે શું કરશે?

  • January 02, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો અત્યારથી જ પ્રારંભિક અને આવશ્યક કામગીરી આરંભવા લાગ્યા છે. ત્યારે આ તરફ કોંગ્રેસે પણ તેના સંગઠનને મજબૂત કરવા માટેની કવાયત હાથ ધરી છે. આ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંગઠનની બેઠકમાં ભાગ લેવા પંજાબ આવી રહ્યા છે. ખડગેનો આ પંજાબ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે એક તરફ પંજાબના નેતાઓ આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય સમજૂતી કરવાની વિરુદ્ધમાં છે. તે જ સમયે, કોંગ્રેસ હાઈકમાન્ડે હજી સુધી ગઠબંધન કરવાના વિચારને સ્વીકાર્યો પણ નથી અને નકાર્યો પણ નથી. કહેવાય છે કે ઇન્ડીયા ગઠબંધનની આગામી બેઠક પહેલા જ મલ્લિકાર્જુન ખડગે પંજાબ આવશે અને તેઓ ખૂદ કોંગ્રેસ સંગઠનની તાકાતનું મૂલ્યાંકન કરશે.


પંજાબના આ પ્રવાસમાં સંગઠનની તાકાતના મૂલ્યાંકન માટે તેઓ રાજ્ય સ્તરથી લઈને બ્લોક સ્તર સુધીના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. તેમની સાથેની બેઠકમાં ખાસ વાતચીત કરી અભિપ્રાય પણ લેવામાં આવશે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસે 90 ટકાથી વધુ બ્લોક લેવલ કમિટીઓ પણ બનાવી છે. ત્યારે પાર્ટી માની રહી છે કે રાજ્યના લગભગ 10 હજાર નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે.


પંજાબમાં સંગઠનની તાકાતનું મૂલ્યાંકન કરવા માટે કોંગ્રેસ જલંધર અથવા લુધિયાણા ખાતે બેઠક યોજવાનું વિચારી રહી છે. હાલમાં, તે અંગેનો અંતિમ નિર્ણય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજાના નેતૃત્વમાં 4 જાન્યુઆરીએ યોજાનારી બેઠકમાં લેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ગઠબંધન બનાવવું કે નહીં તે નક્કી કરતા પહેલા કોંગ્રેસ પાયાના સ્તરે તેના સંગઠનની તાકાતનું મૂલ્યાંકન કરવા ઇચ્છે છે. આ પ્રકારે મૂલ્યાંકન કરવા સાથે લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ પણ જાણી શકાશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગઠબંધનને લઈને વરિષ્ઠ નેતાઓ સાથે ત્રણ રાઉન્ડની બેઠકો કરી છે. પંજાબના વરિષ્ઠ નેતાઓને પહેલા રાઉન્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ નેતાઓ ઉપરાંત પાર્ટીના સાંસદોને બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.



હાલમાં જ પંજાબની પોલિટિકલ અફેર્સ કમિટી સાથે પણ બેઠક યોજાઈ છે. આ બેઠકોમાં મોટા ભાગના નેતાઓએ મહાગઠબંધનનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પણ હાઈકમાન્ડને સ્પષ્ટ કર્યું હતું કે જો પાર્ટી આવો નિર્ણય લેશે તો તેનાથી પાર્ટીને નુકસાન તો થશે જ પરંતુ ઘણા નેતાઓ પાર્ટી છોડીને ઘરે બેસી શકે છે. જો કે કોંગ્રેસે હજુ સુધી ગઠબંધન અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પંજાબમાં બ્લોક લેવલ સુધીના નેતાઓ સાથે બેઠક યોજવા આવવું એ સંકેત આપી રહ્યું છે કે હાઈકમાન્ડ પોતે કોઈ પણ નિર્ણય લેતા પહેલા પાર્ટીના નેતાઓની ભાવનાઓથી વાકેફ થવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application