ઇન્ડીયા એલાયન્સના સંયોજક અને રામમંદિર મુદ્દે શું કહ્યું નેતા સંજય રાઉતે?

  • January 04, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશવાસીઓમાં ઉત્સાહ અને હરખ છે. તો આ તરફ રાજકારણીઓ રામમંદિર મુદ્દે નિવેદનો આપી રાજકારણ રમી રહ્યા છે. જેમાં શિવસેનાના નેતા સંજય રાઉત બાકાત નથી. અત્યાર સુધી ઉદ્ઘાટન સંબંધિત આમંત્રણ ન મળવા પર તેઓ ભાજપની ટીકા કરતા આવ્યા હતા. ત્યારે સંજય રાઉતે હવે કહ્યું છે કે, જો કોંગ્રેસને અયોધ્યાનું આમંત્રણ મળે છે તો તેણે ત્યાં જવું જોઈએ.


સંજય રાઉતે આ સાથે ઇન્ડિયા ગઠબંધન અંગે જણાવ્યું હતું કે, ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે અને તેમાં સંયોજક અને અધ્યક્ષ પદની જવાબદારી કોઈને આપવામાં આવી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ નીતિશ, કેજરીવાલ અને વેણુગોપાલ સાથે વાત કરી હોવાનું પણ જણાવ્યું હતું.


જોકે સંજય રાઉત ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવાનું ચૂકયા નહોતા. ઇડી કેજરીવાલ અને હેમંત સોરેનને પરેશાન કરી રહી છે તેમ કહી સરકાર પર ઈડી અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ઈન્ડિયા એલાયન્સના નેતાઓને હેરાન કરવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. જો કે ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષો સંપૂર્ણપણે કેજરીવાલ અને હેમંત સોરેનની સાથે હોવાની વાત તેમણે કહી હતી.


તમને જણાવી દઈએ કે રામ મંદિરના આમંત્રણને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે સતત પ્રહારો થઈ રહ્યા છે. તાજેતરમાં, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને આમંત્રણ મળ્યું નથી. ત્યારે રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે "આમંત્રણ ફક્ત ભગવાન રામના ભક્તોને આપવામાં આવે છે. ભાજપ ભગવાન રામના નામ પર રાજનીતિ કરે છે તે ખોટું છે, આપણા વડાપ્રધાનનું સર્વત્ર સન્માન થાય છે. તેમણે તેમના કાર્યકાળમાં ઘણું કામ કર્યું છે, આ રાજકારણ નથી, આ તેમની ભક્તિ અને નિષ્ઠા છે."


મહત્વનું છે કે, ઉદ્ધવ ઠાકરેએ તા.31 ડિસેમ્બરના દાવો કર્યો હતો કે તેમને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. આમંત્રણમાં કથિત ક્ષતિ અંગે ભાજપને આડે હાથ લેતા તેમણે કહ્યું હતું કે “પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું રાજનીતિકરણ ન થવું જોઈએ. મંદિરના ઉદ્ઘાટન સમારોહને રાજકીય કાર્યક્રમમાં ફેરવવો જોઈએ નહીં અથવા કોઈ એક પક્ષની આસપાસ ન ફરવું જોઈએ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application