અયોધ્યાના રામમંદિરમાં આજથી આરંભાઇ વિવિધ ધાર્મિક વિધિ, જાણો રામમંદિરના ધાર્મિક આયોજન વિશે

  • January 16, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી રામજન્મભૂમિ મંદિરમાં રામલલાના અભિષેકની વિધિ મંગળવારથી શરૂ કરવામાં આવી છે. આ વિધિ 21 જાન્યુઆરી સુધી ચાલશે. રામલલાની પ્રતિમા 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં નિર્ધારિત આસન પર સ્થાપિત કરવામાં આવશે. છેલ્લા 70 વર્ષથી પૂજાતી હાલની મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે. જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે પ્રાણપ્રતિષ્ઠા સમારોહની સંપૂર્ણ વિગતો વિશે જાણકારી આપી હતી.


પ્રાણપ્રતિષ્ઠા સમારોહની વિગતો વિશે માહિતી આપતા ચંપત રાયે કહ્યું હતું કે, 22 જાન્યુઆરીએ ન્યૂનતમ વિધિઓની આવશ્યકતા રહેશે. આ પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બપોરે 12:20 કલાકે શરૂ થશે. જે આશરે 40 મિનિટ સુધી ચાલશે. ત્યાર બાદ પીએમ મોદી, સીએમ યોગી, સંઘ પ્રમુખ મોહન ભાગવત લગભગ 75 મિનિટ સુધી સંદેશો આપશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ આશીર્વાદ આપશે. સમારોહ માટે, મહેમાનોએ સવારે 10:30 વાગ્યા સુધીમાં રામજન્મભૂમિ સંકુલમાં પ્રવેશ કરવાનો રહેશે. મંદિર પરિસરમાં આઠ હજાર ખુરશીઓ લગાવવામાં આવી રહી છે. આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સંગીતનાં 25 સાધનો વડે રામલલાનું અભિવાદન કરવામાં આવશે.


ચંપત રાયે કહ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો સમય કાશીના પ્રખ્યાત વૈદિક આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે અને વારાણસીના આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં 121 વૈદિક આચાર્યો સમગ્ર કર્મકાંડ વિધિ સંપન્ન કરાવશે. આ મહોત્સવમાં 150 થી વધુ સાધુ સંતો અને ધાર્મિક આગેવાનો અને 50થી વધુ આદિવાસીઓ, પર્વતવાસીઓ, દરિયાકાંઠાના રહેવાસીઓ, ટાપુવાસીઓ અને આદિવાસી લોકોની ઉપસ્થિત રહેશે. મંદિરના નિર્માણ સાથે જોડાયેલા 500થી વધુ લોકો (એન્જિનિયર ગ્રુપ) પણ સામેલ થશે.


પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની વિધિ આજથી શરૂ થઇ ગઇ છે. મહત્વનું છે કે 21 જાન્યુઆરી સુધી વિવિધ પ્રકારે ઘાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. જેની ટૂંકી માહિતી નીચે મુજબ છે.

પ્રાણ પ્રતિષ્ઠામાં 12 અધિવાસ હશે

16 જાન્યુઆરી- પ્રાયશ્ચિત, કર્મકુટી પૂજા

17 જાન્યુઆરી- પરિસરમાં પ્રતિમાનો પ્રવેશ

18 જાન્યુઆરી – તીર્થપૂજન અને જલયાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસ

19 જાન્યુઆરી- ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ અને ધન્યાધિવાસ

20 જાન્યુઆરી- શર્કરાધિવાસ, ફલાધિવાસ, પુષ્પાધિવાસ

21 જાન્યુઆરી – મધ્યાધિવાસ, સાયંકાળ શૈય્યાધિનવાસ


22 જાન્યુઆરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજથી વિવિધ ધાર્મિક આયોજનો શરૂ થઇ ગયા છે. 21 જાન્યુઆરી સુધી આ ધાર્મિક વિધિ થવાની છે અને આખરે 22 જાન્યુઆરીના જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે.


આપને જણાવી દઇએ કે, મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે. નવી પ્રતિમા શ્યામ શિલાની બનેલી છે અને તેનું વજન 150 થી 200 કિલો છે. ભગવાન રામને મૂર્તિમાં પાંચ વર્ષીય બાળક રૂપે દર્શાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application