આ ભૂલોને કારણે શિયાળામાં પડી જશો બીમાર, આજે જ સુધારો તમારી દિનચર્યા

  • January 11, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળાની ઋતુમાં તાપમાન ઘટવાની સાથે જ શરદી, તાવ, પેટમાં ખેંચાણ, સ્નાયુઓ જકડાઈ જવા જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. જો કે આ બધી ઠંડીના વાતાવરણમાં થતી વાયરલ સમસ્યાઓ છે. જે એન્ટિબાયોટિક્સ લેવાથી અથવા બે-ત્રણ દિવસ કે પછી અઠવાડિયામાં ઠીક થઈ જાય છે, પરંતુ કેટલાક લોકો આ દિવસોમાં બીમાર રહેતા હોય છે. તેમની સ્થિતી એક સાંધોને તેર તૂટે જેવી થતી હોય છે અથવા કોઇને કોઇ વાયરલ સમસ્યા શિયાળા દરમિયાન સતાવતી રહેતી હોય છે. ત્યારે જો તમારી સાથે પણ કંઈક આવું થતું હોય તો સંભવ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને તેની પાછળ તમારી કોઈ ખરાબ આદતો હોઈ શકે છે.


નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે  શરીર બેક્ટેરિયા અને હવામાનની અસરોનો સામનો કરી શકતું નથી અને તેના કારણે વાયરલ રોગોની ઝપટમાં ઝડપથી આવી જવાય છે. જોકે મોટાભાગના લોકો આ પ્રકારે વાયરલ સમસ્યાને હળવાશથી લે છે. પરંતુ તેના પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમે પણ શિયાળામાં વધુ વખત બીમાર પડો છો તો તમારે કેટલીક બાબતો પર ચોક્કસપણે ધ્યાન આપવું જોઇએ. જે શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવતા રોકી શકે.


ફળો અને શાકભાજીનું સેવન ન કરવું

કેટલાક લોકો ફળો અને શાકભાજીના નામ પર મોં મચકોડવા લાગે છે. જો તમે આ પ્રકારે આદત ધરાવતા હોવ તો આ આદત તમને દરેક ઋતુમાં બીમાર કરી શકે છે. ફળો અને શાકભાજીમાં રહેલા પોષક તત્વો સફેદ કોષોના નિર્માણમાં મદદ કરે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો શરીરમાં એક કરતા વધુ પોષક તત્વોની ઉણપ હોય તો એન્ટિબોડીઝનું ઉત્પાદન પ્રભાવિત થાય છે, જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તેથી, ચોક્કસપણે ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઇએ. તેના સેવન પ્રત્યે અણગમો રાખવો નહીં.


મોડી રાત સુધી જાગવાની ટેવ

આજકાલ મોટાભાગના લોકો મોડી રાત સુધી જાગતા રહેવાની ટેવ ધરાવતા હોય છે. એટલું જ નહી આ સમય દરમિયાન સતત સ્ક્રીનના સંપર્કમાં રહેતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.  કારણ કે જો તમે ફોનનો ઉપયોગ કરતી વખતે સૂઈ જાઓ છો તો પણ તમારી ઊંઘ ખોરવાઈ જાય છે. મોડી રાત સુધી જાગતા રહેવાથી તમને યોગ્ય ઊંઘ નથી આવતી અને તેના કારણે રોગપ્રતિકારક કોષો નબળા પડી શકે છે. માટે, મોડી રાત સુધી જાગતા રહેવાની ટેવને દૂર કરવી જોઇએ.


તણાવ લેવાની ટેવ

કેટલાક લોકોને નાની નાની બાબતોમાં પણ સ્ટ્રેસ આવી જતો હોય છે. જે બિમારીનું મહત્વપૂર્ણ કારણ છે. આ માટે કેટલાક સંશોધનો સૂચવે છે કે જો કોઇ સ્પર્ધા હોય તેમાં ભાગ લેતી વેળા થોડા સમય માટે તણાવ આવે તે વાજબી છે. પરંતુ નાની નાની વાતમાં તણાવ લેવાની આદત હોય અથવા ખૂબ જ તણાવ રહેતો હોય તો તેની નકારાત્મક અસર પડી શકે છે. જેને કારણે તમારી ભૂખની પેટર્ન બદલાઇ શકે છે. તેની ખરાબ અસર રોગ પ્રતિકારક શક્તિ પર પડે છે.


સુસ્ત દિનચર્યા

શિયાળાની ઠંડીને કારણે લોકો મોટે ભાગે તેમની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો કરતા હોય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ ઠંડા હવામાનમાં કસરત કરવાનું છોડી દે અથવા તો શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટે આળસ કરો તો એ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી દે છે. દરરોજ એરોબિક કસરત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જે શરીરને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં હળવી કસરત કરવાનો આગ્રહ રાખવો જોઇએ.




નોંધ

આ જાણકારી માત્ર સામાન્ય હેતુ અર્થે છે. જેને વ્યવસાયિક ધોરણે ધ્યાનમાં લેવી નહી. જો આપને કોઇ ગંભીર પ્રશ્ન કે બિમારી સતાવતી હોય તો ડોકટરની સલાહ લેવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application