ગુજકેટમાં ભૌતિક- રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત, ગણિત- જીવ વિજ્ઞાનનું અલગ પ્રશ્નપત્ર

  • March 07, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. સોમવારે મુખ્ય વિષયોની મોટાભાગની પરીક્ષાઓ પૂરી થઈ જવાની હોવાથી આગામી તારીખ 23 ના રોજ લેવાનારી ગુજકેટની પરીક્ષા માટે બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ 23 ના રવિવારે સવારે 10:00 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા દરમ્યાન માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રમાં જ આ પરીક્ષા લેવાશે અને તે માટે 1,29,706 પરીક્ષાર્થીઓ નોંધાયા છે જે ગયા વર્ષની સરખામણીએ 8093 ઓછા છે. આ વર્ષે એ ગ્રુપના 49175 બી ગ્રુપના 80151 અને એબી ગ્રુપના 380 પરીક્ષાર્થી નોંધાયા છે.

એનસીઈઆરટીના પાઠ્યપુસ્તક મુજબ આ પરીક્ષાનો અભ્યાસક્રમ નક્કી કરાયો છે. જેમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ મળીને કુલ 80 પ્રશ્નોના 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે તે માટેની ઓએમઆર આન્સરશીટ અલગથી આપવામાં આવશે. આ બંને વિષયમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય નક્કી કરાયો છે.

ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં પરીક્ષાના પ્રશ્નપત્રો કાઢવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી /ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017 થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે બોર્ડની મુખ્ય પરીક્ષા અને ગુજકેટ વચ્ચે લાંબો સમયગાળો રહેતો હોવાથી પરીક્ષાનો માહોલ અને તેની રીધમ તૂટી જતી હોવાથી બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી તુરત જ ગુજકેટની પરીક્ષા લેવાવી જોઈએ તેવી માગણી લાંબા સમયથી કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી તેનો સ્વીકાર થયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application