પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતાં શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, અફઘાનિસ્તાન સામેના મેચમાં નહી રમે સ્ટાર ઓપનર

  • October 10, 2023 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડેન્ગ્યુના કારણે પાકિસ્તાન સામેના મેચમાં પણ મેદાનમાં વાપસી પર આશંકા

ગત મેચમાં ઓપનીંગ માટે મેદાનમાં ઉતરેલા કેપ્ટન શર્મા અને ઇશાન કિશન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલીયનમાં ફર્યા હતા પરત




ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલના લેટેસ્ટ હેલ્થ અપડેટે ટીમ ઈન્ડિયા અને ચાહકોની ચિંતા વધારી દીધી છે. ડેન્ગ્યુના કારણે શુભમન ગિલને પ્લેટલેટ્સ ઓછા થતા ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શુભમન પહેલેથી જ બુધવારે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. સૂત્રો મુજબ હવે શનિવારે પાકિસ્તાન સામેની મેચમાં ગિલના રમવાની કોઈ શક્યતા નથી. ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.


રવિવારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ ૧૯૯ રનમાં ઓલઆઉટ થવા છતાં એક સમયે ટીમ ઈન્ડિયા મેચ હારી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ભારતે માત્ર ૨ રનમાં બંને ઓપનરો સાથે ઐયરની ત્રીજી વિકેટ પણ ગુમાવી દીધી હતી.


મંગળવારના રોજ બીસીસીઆઈ દ્વારા શુભમન ગિલની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી હતી. હેલ્થ અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે શુભમન ગિલ ટીમ સાથે દિલ્હી ગયો નથી અને તે ચેન્નાઈમાં રહીને તેમની સારવાર કરાવશે. ત્યારે આજે મળતી માહિતી અનુસાર, શુભમન ગિલના પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં શુભમન ગિલ ચેન્નાઈની હોસ્પિટલમાં જ દાખલ છે.


ગયા અઠવાડિયે શુભમન ગિલનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી ગિલ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાંથી બહાર થઈ ગયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ગિલ શનિવારે પાકિસ્તાન સામે રમાનાર મેચ માટે ફિટ થશે. પરંતુ હવે આની કોઈ શક્યતા જણાતી નથી. ડેન્ગ્યુ જેવા રોગમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં ગિલ આવતા સપ્તાહની શરૂઆતમાં જ પ્રેક્ટિસમાં પરત ફરી શકશે.


જોકે, બીસીસીઆઈ ગિલના સ્થાને કોઈ બીજા ખેલાડીને લેશે નહીં અને તે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ રહેશે. ગિલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર ફિટ થઈ ગયા બાદ ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ગિલ ક્યારે પ્રેક્ટિસ શરૂ કરશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. બીસીસીઆઈના ડોક્ટર્સ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. પ્રેક્ટિસના અભાવે ગિલ પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ શકે છે અને આવતા અઠવાડિયે જ તે મેદાનમાં ઉતરે તેવી પ્રબળ સંભાવના છે.


વર્લ્ડ કપમાં ભારતની બેટિંગ મોટાભાગે ટોપ ઓર્ડર પર નિર્ભર છે. વનડેમાં અશ્વિનનું બેટિંગનું પ્રદર્શન પ્રમાણમાં નબળું રહ્યું છે, આ સિવાય બુમરાહ, સિરાજ અને કુલદીપની બેટિંગ પણ કૈક આવી જ છે. તેથી ટીમ ઈન્ડિયાને તેના સ્ટાર ઓપનર ગીલની હાલ તાતી જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application