EDની દરેક તપાસમાં કૌભાંડ, બધી પૂછપરછના ઓડિયો ડિલીટ કરી દેવાયા : આતિશી સિંહ

  • February 06, 2024 05:21 PM 


આપ મંત્રી આતિશી સિંહે બીજેપી અને ઇડી પર ઉઠાવ્યા સવાલ; એજન્સીનો ઉપયોગ માત્ર ડરાવવા અને ધમકાવવા માટે થતો હોવાનો દાવો 


આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મંત્રી આતિશી સિંહે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. આતિશીએ કહ્યું કે, “ઇડીએ દોઢ વર્ષમાં તપાસના નામે કૌભાંડ આચર્યું છે. તેણે બંધ રૂમમાં આરોપીઓના નિવેદનો નોંધ્યા હતા અને કોર્ટમાં અલગ-અલગ નિવેદનો રજૂ કર્યા હતા. એટલું જ નહીં, બંધ રૂમના સીસીટીવી ફૂટેજનો ઓડિયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યો છે. આતિશીએ દાવો કર્યો હતો કે દોઢ વર્ષમાં ઇડી ન તો કઈ રીકવર કરી શક્યું, ન તો પુરાવા એકઠા કરી શક્યું, ન તો તેની પાસે નિવેદનોનું રેકોર્ડિંગ છે.”

આતિશીએ કહ્યું કે, ભાજપ કેન્દ્રીય એજન્સીની મદદથી આમ આદમી પાર્ટીને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આપ ધમકીઓથી ડરતી નથી. અમારા નેતાઓને બે વર્ષથી ધમકાવવામાં આવી રહ્યા છે. કથિત દારૂના કૌભાંડના નામે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ઇડીને કંઈ મળ્યું નથી. તપાસમાં ત્રણ બાબતો મહત્વની છે. પ્રથમ વસ્તુ એ કે રીકવરી જરૂરી છે. સેંકડો દરોડા પાડવા છતાં એક રૂપિયો પણ વસૂલ થયો નથી. બીજી મહત્વની બાબત પુરાવા છે. બે વર્ષમાં કોઈ પુરાવા મળ્યા નથી. કોર્ટે પણ આ વાત કહી છે. ત્રીજી મહત્વની વાત - સાક્ષીઓ છે. ઇડી દ્વારા પૂછપરછ કરાયેલા તમામ નિવેદનો નકલી છે. 


આતિશીએ કહ્યું કે, સાક્ષીઓને ધમકાવીને નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. એક સાક્ષીએ કહ્યું કે મને કહેવામાં આવ્યું કે જો તમે નિવેદન નહીં આપો તો તમારી દીકરી કોલેજે જઈ શકશે નહીં. એક સાક્ષીને થપ્પડ મારવામાં આવી હતી. બીજા સાક્ષીને તેઓએ કહ્યું કે તમારી પત્નીની ધરપકડ કરવામાં આવશે. આતિશીએ કહ્યું કે કોઈપણ તપાસ એજન્સીએ કેમેરાની સામે તેની પૂછપરછ કરવાની હોય છે. આતિશીએ વધુમાં કહ્યું કે, જ્યારે એક આરોપીએ થોડા દિવસો પહેલા કોર્ટમાં અરજી કરી અને કહ્યું કે, મને પૂછપરછના સીસીટીવી ફૂટેજ જોઈએ છે. કેમ કે પૂછપરછ પ્રક્રિયા દરમિયાન રૂમમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટમાં નિવેદન રજૂ કરવામાં આવ્યું ત્યારે અલગ નિવેદન હતું. જ્યારે ઇડીએ તે પૂછપરછના ફૂટેજ આપ્યા તો તેનો ઓડિયો કાઢી નાખવામાં આવ્યા હોવાનો દાવો કરામાં આવ્યો છે.

તેણે વધુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આબકારી નીતિની તપાસ દોઢ વર્ષ પહેલા શરૂ થઈ હતી. ત્યાર બાદ તમામ ઓડિયો ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. તમામ નિવેદનો નકલી છે. જો નિવેદનો સાચા હતા તો ઓડિયો કેમ કાઢી નાખવામાં આવ્યા. ઇડીની તપાસમાં જ કૌભાંડ બહાર આવ્યું છે. આતિશીએ કહ્યું કે આજે અમે ઇડીનો પર્દાફાશ કરવાના હતા. જેના કારણે ગઈકાલે સાંજથી ઇડીના લોકો ડરી ગયા હતા. આ ઘટસ્ફોટને રોકવા માટે સવારથી અમારા નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીના પીએના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એજન્સીનો ઉપયોગ માત્ર ડરાવવા અને ધમકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ઈડી ઓડિયો અને વિડિયો પુરાવા આપવામાં સક્ષમ નથી એ આ કેસમાં સાબિત થયું છે. અમને અન્ય કેસો વિશે પણ જાણવા મળ્યું છે. કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ઇડીની તપાસનું સત્ય ટૂંક સમયમાં બહાર લઇ આવીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application