સલાયા-ઓખા બંદરે વહાણો માટે પુન: ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ
વહાણવટીઓ અને અગ્રણીઓએ સાંસદ પૂનમબેન માડમનો આભાર માન્યો
સાંસદના પ્રયાસોને સફળતા: ર૦૦ થી વધુ વહાણો મીડલઇસ્ટના બંદરો પર અટવાયા હતા
છેલા ડિસેમ્બર ૨૦૨૫ થી ઓખા અને સલાયા બંદરો માટે ઇમિગ્રેશન સબંધિત કામગીરી બંધ હતી.જેથી દેશી વહાણોને પોતાના હોમ પોર્ટ પર આવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.ઇમિગ્રેશન ન મળતા ૨૦૦ થી વધુ ગુજરાતના દેશી વહાણો મિડલ ઇસ્ટના બંદરો અને સમુદ્રી વિસ્તારમાં અટવાઈ ગયા હતા. આ મુદે સેલિંગ વેસલ્સ એસોસિયેશન દ્વારા જામનગર ડીજી શિપિંગ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ લાંબા સમય સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
દરમ્યાન તાજેતરમાં સલાયાના બે વહાણો અમેરિકા અને ઈરાનના યુદ્ધ અને ક્રોસ ફાયરિંગમાં ડૂબી જતા એક ખલાસીનું મોત થયું હતું અને બે વહાણો પણ ડૂબી ગયા હતા.જેના લીધે વહાણવટી સમાજ ભારે ચિંતામાં હતા.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર દ્વારકાના લોકલાડીલા સાંસદ સભ્ય પૂનમબેન માડમ સમક્ષ રજૂઆત કરવામાં આવેલ હતી.જેથી તેઓ તુરંત આ બાબતે સક્રિય થઈ અને પરિણામ માટે સત્વરે પ્રયત્નો કરતા માત્ર ત્રણ જ દિવસમાં નજીકના પોરબંદર સ્થિત મારફતે ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઇમિગ્રેશન પ્રક્રિયા ફરી શરૂ થતા મિડલ ઇસ્ટમાં અટવાયેલા દેશી વહાણો ૧૫ થી ૨૦ દિવસની અંદર પોતાના હોમ પોર્ટ ઉપર આવી જવાની શક્યતા છે.
ઇમિગ્રેશન પ્રક્રિયા ફરી શરૂ થતા તમામ વહાણવટી સમાજ,ખલાસીઓના પરિવારજનો તેમજ ગ્રામજનોએ સાંસદ સભ્ય પૂનમબેન માડમ નો આભાર વ્યક્ત કર્યો હતો.આ બાબતે સલાયા તેમજ ખંભાળિયાના આગેવાનો કાસમભાઈ ભોકલ,રૂસ્તમભાઈ સુંભણીયા,અલી હાજી ગાયત્રી વાળા, ફાક હાજી ભાયા, આમદ હાજી સંઘાર,ફારૂક સુંભણીયા, તબરેજ સંઘાર તેમજ માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ નજીરભાઈ જસરાયા તેમજ અનેક આગેવાનો રૂબરૂ જામનગર સ્થિત સાંસદ સભ્ય પૂનમબેનના કાર્યાલયે જઈ અને એમનો આભાર વ્યક્ત કર્યો હતો.