પ્રાણપ્રતિષ્ઠા પર્વ પૂર્વે ભાવુક થઈ રામાયણની 'સીતા', દીપિકા ચિખલિયાએ કહ્યું, ‘આજે અમે જીત્યા’

  • January 22, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેલિવિઝનના પ્રખ્યાત શો 'રામાયણ'માં દીપિકા ચિખલિયાએ માતા સીતાની ભૂમિકા એટલી સાદગી અને સહજતાથી ભજવી હતી કે તેણે દર્શકોના માનસ પર ઊંડી છાપ છોડી છે. વર્ષો પહેલા તેણે રામાયણ સિરિયલમાં સીતા માતાની ભૂમિકા ભજવી હતી. છતાં પણ તે આજ સુધી આ શો સાથે જોડાયેલી છે. તે પોતાને રામમય માને છે. આ સ્થિતિમાં આજે અયોધ્યામાં રામમંદિરના અભિષેકનું આયોજન છે. જે અભિનેત્રી દીપિકા ચિખલિયા માટે પણ ઐતિહાસિક ક્ષણ છે. તે આ ક્ષણને લઈને ખૂબ જ ભાવુક છે.


દીપિકા ચિખલિયાએ ફરી એકવાર અયોધ્યા રામમંદિરના અભિષેકને લઈને પોતાની લાગણી શેર કરી હતી. એક વાતચીત દરમિયાન અભિનેત્રી દીપિકાએ આજના દિવસને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. સાથે જ કહ્યું હતું કે, અમે જાણતા હતા કે આ ખાસ દિવસ ચોક્કસપણે આવશે, પરંતુ અમને કલ્પના નહોતી કે અમે આ ક્ષણ જોઈ શકીશું. વિચાર્યું ન હતું કે આ ઐતિહાસિક દિવસ સાથે આપણે આપણી જાતને જોડી શકીશું. હું શરૂઆતથી જ રામમય છું. આટલું જલ્દી પરિણામ આવશે એવું વિચાર્યું ન હતું. દેશ-વિદેશ રામમય થઇ ગયો છે. અમે વર્ષોથી રામાયણ સાથે જોડાયેલા છીએ. આથી, આ એક ભાવનાત્મક ક્ષણ છે. એવું લાગે છે કે અમારી જીત થઇ છે.


રામાયણ શોમાં સીતાની ભૂમિકા ભજવવા પર દીપિકા ચિખલિયાએ કહ્યું હતું કે, તે ક્યારેય ગ્લેમરસ રોલ કરવાની ઇચ્છા ધરાવતી નહોતી. તે માત્ર એવી ભૂમિકા ભજવવાની ઇચ્છા રાખતી હતી કે જે તેને સન્માન આપી શકે. સીતા માતાનું પાત્ર ભજવ્યા બાદ તેને આ સૌભાગ્ય મળ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે, એકવાર 90 વર્ષની એક મહિલાએ તેના ચરણ સ્પર્શ કર્યા હતા. જયારે અભિનેત્રીએ આ માટે ઇન્કાર કર્યો તો એ મહિલાએ કહ્યું હતું કે, દેશમાં કરોડો મહિલાઓ છે, તેમાંથી ભગવાને તમને સીતામાતાની ભૂમિકા ભજવવા માટે પસંદ કર્યા છે. મહિલાની આ વાત સાંભળીને દીપિકા ખૂબ જ ભાવુક થઈ ગઈ. ત્યારથી તેણે ક્યારેય કોઈને તેના ચરણ સ્પર્શ કરતા રોક્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application